
સાત માસથી રીસાવણે પિયર રહેતી પત્નીને તેડવા ગયેલા પતિએ છરીના ઘા ઝીંકી ખૂન કરી નાસી છૂટ્યો
વિપુલ હિરાણી , ભાવનગર
ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધોળા ગામે રહેતી પરિણીતાના પિયરમાં આવી પતિએ બપોરના સુમારે પત્નિને ઘર કંકાસને પગલે છરીના તિક્ષ્ણ ઘા ઝીંકી દઇ પરિણીતાની હત્યા કરી નાખ્યા નો બનાવ બનવા પામ્યો છે.
ખુલ્લા આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના સિહોર ખાતે સાસરિયુ ધરાવતી સોનલબેન ગોવિંદભાઇ રાઠોડ ઘરકંકાસ અને પતિ ચારિત્રય પર શંકા કરતો હોય જેને લીધે સાતેક માસથી તેના ધોળા ગામે પિયરમાં રહેતી હતી જે વેળાએ સોનલબેનનો પતિ સંજયભાઇ પાટડીયા ધોળા ગામે આવી, સસરા સાથે સમાધાન કરવા આવ્યો છું તેમ સાસુને કહી, પરિણીતાને તારા માટે કપડા લાવ્યો છું તેમ કહી સોનલબેનને રસોડામાં લઇ ગયો હતો અને બાદમાં પરિણીતા રસોડામાં આવતા પત્નિ ઉપર ઉપરાછાપરી પેટના ભાગે છરીના ઘા ઝીંકી, લોહીલુહાણ કરી, નિર્મમ હત્યા કરી દાસી છૂટ્યો હતો. જે બાદ રસોડામાં લોહીલૂહાણ હાલતે રહેલ સોનલબેનને તેના ભાઇ, માતા અને પિતાએ ખાનગી એમ્બ્યુલન્સમાં ઉમરાળા ખાતે સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા પરંતુ તબીબે સોનલબેનને મૃત જાહેર કરતા સમગ્ર બનાવ હત્યામાં પલટાઇ જવા પામ્યો હતો.
બનાવની જાણ ઉમરાળા પોલીસને થતાં પોલીસે ધોળા ગામે જઇ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અને ફરાર થયેલ પતિની શોધખોળ શરૂ કરાઇ છે. સોનલબેનની માતા વસંતબેને તેના જમાઇ સંજય પાટડિયા વિરૂદ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.