વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૧૯
ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર તથા જિલ્લા માહિતી કચેરી, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આજે ભાવનગર ખાતે ‘સર્જક સાથે સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત “ડિજિટલ યુગમાં બદલાતું સાહિત્ય અને પત્રકારત્વનું સ્વરૂપ” વિષયક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભાવનગરના અધેવાડા ખાતે આવેલ જગાભાઇ ગોપનાથ રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલ આ સેમિનારમાં વરિષ્ઠ પત્રકાર તારકભાઈ શાહે ડિજિટલ મીડિયાના વધતા પ્રભાવ, ફેક્ટ-ચેકિંગની આવશ્યકતા અને જવાબદાર પત્રકારત્વની ભૂમિકા વિશે જણાવી કહ્યું હતું કે, આજનો સમય હરિફાઈ અને ગતિનો છે. છાપું સવારમાં વાચકો સુધી પહોંચે છે, જ્યારે સોશિયલ મીડિયા દ્વારા સમાચાર મિનિટોમાં લોકો સુધી પહોંચી જાય છે, પરંતુ ઝડપ સાથે વિશ્વસનીયતા જાળવવી અત્યંત જરૂરી છે.
તેમણે કહ્યું કે, ટેક્નોલોજીના ઉપયોગ સાથે જવાબદારી અનિવાર્ય રીતે જોડાયેલી છે. જે ટેકનોલોજીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરે છે, તે જ સફળ બને છે. સોળ કોલમના ફોટોથી જે પ્રભાવ અને આનંદ મળે છે, તે સોશિયલ મીડિયા પર મળતો નથી, તેથી પરંપરાગત અને ડિજિટલ બંને માધ્યમનું સંતુલન જરૂરી છે.
આજના સમયમાં ત્વરિત પ્રતિસાદની અગત્યતા વર્ણવતા તેમણે જણાવ્યું હતું કે, બદલાતા સમયમાં એઆઈનો ઉપયોગ આવશ્યક બની ગયો છે. પરંતુ પત્રકાર મશીન નહીં, સંવેદનાસભર માનવી બનવો જોઈએ. સમાજની વચ્ચે રહીને, સત્યને વળગી રહી અને સંવેદનાથી સમાચારો રજૂ કરવું પત્રકારની પ્રાથમિક ફરજ છે.
ટ્રોલ સંસ્કૃતિના સમયમાં પણ જવાબદાર સોશિયલ મીડિયા પત્રકાર ઉભા કરવાની જરૂરિયાત તેમણે વ્યક્ત કરી તેમણે માનવીની કાર્યકુશળતાની સાપેક્ષતામાં એઆઈ માત્ર સહાયક સાધન છે. બદલાતા પ્રવાહ સાથે આગળ વધવું જ સમયની માંગ છે, નહીં તો પાછળ રહી જવાનું જોખમ છે. સોશિયલ મીડિયાના પ્રભાવ વચ્ચે તટસ્થતા, નૈતિકતા અને પ્રમાણભૂત સ્ત્રોતોની ખાતરી કરવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂકી ડિજિટલ યુગે પત્રકારોને નવી તકો આપી છે, પરંતુ તેની સાથે જવાબદારી પણ વધારી છે તેની વિસ્તૃત સમજ આપી હતી.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા તથા જાણીતા સાહિત્યકાર ડૉ. મહેન્દ્રસિંહ પરમારે ડિજિટલ યુગમાં સાહિત્ય અને પત્રકારત્વના બદલાતા સ્વરૂપ વિષે જણાવ્યું કે, ડિજિટલ પ્લેટફોર્મના વધતા પ્રભાવને કારણે સાહિત્યમાં સર્જનાત્મકતા અને અભિવ્યક્તિના નવા આયામો ઉમેરાયા છે અને લેખકોને વૈશ્વિક વાચકવર્ગ સાથે સીધું જોડાવાની અનોખી તક મળી છે.
ફિઝિકલ અને ડિજિટલ પુસ્તક વચ્ચેનો તફાવત સમજાવતા તેમણે કહ્યું કે, ફિઝિકલ બુક વાંચવાનો આનંદ, સ્પર્શ અને અનુભવ અનોખો હોય છે, જ્યારે ડિજિટલ બુક સરળતાથી ઉપલબ્ધ હોવા છતાં એ સ્પર્શાનુભૂતિ આપી શકતી નથી. તેમ છતાં, ડિજિટલ યુગમાં ગુજરાતી સાહિત્યની મોટાભાગની મહત્વપૂર્ણ કૃતિઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે અને નોઘાવદરથી ન્યૂયોર્ક સુધી માત્ર એક ક્લિકથી પહોંચી શકાય છે.તેમણે ઉમેર્યું કે, સંદેશાવ્યવહારની સરળતા ડિજિટલ યુગની સૌથી મોટી ક્રાંતિ છે. પત્રકારત્વ હંમેશા સાહિત્યની કેડી તરીકે કાર્યરત રહ્યું છે. આર્ટિફિશિયલ અને ઓરિજિનલ સર્જન વચ્ચેનો પાયો ભેદ યથાવત્ રહેશે અને ટેકનોલોજી સાથે કદમ મિલાવતું સાહિત્ય સમયોચિત અને વધુ અસરકારક બની શકે છે.શ્રી પરમારે જણાવ્યું કે, એઆઈ દ્વારા સામયિકો તૈયાર થવાની પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં કર્તા, સંપાદક, અનુવાદક અને કૉપિરાઇટ જેવી વિગતો પણ ઉપલબ્ધ થાય છે. નવા સમયની ભાષા “મીંઢી લેગ્વેજ” તરીકે વિકસી રહી છે અને સાહિત્ય હવે વ્યાપક જનસમુદાય સુધી શ્રેષ્ઠ રીતે પહોંચતું બન્યું છે. આવનારા સમયમાં સાહિત્ય અને ડિજિટલ માધ્યમ વચ્ચેનું સંકલન વધુ મજબૂત બનશે.
સંયુક્ત માહિતી નિયામક અને પ્રેસ અકાદમીના સચિવ જયેશભાઈ દવેએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં કહ્યું કે, સંવાદ માત્ર વિચારોની આપ-લે નથી, પરંતુ સંવેદનાનું વાવેતર કરનાર સશક્ત માધ્યમ છે. ગુજરાત પ્રેસ અકાદમીનો ઉદ્દેશ્ય સંવેદનાસભર વિચાર મૂકવાનો નહીં, પરંતુ સમાજને વિચારતા કરવાનો પણ છે.તેમણે ભાષાના મહત્ત્વ પર ભાર મૂકતાં કહ્યું કે, ભાષા બળૂકી હશે તો સાહિત્ય પણ બળૂકુ હશે. સાહિત્ય અને સંસ્કૃતિ એકબીજાથી અભેદ રીતે જોડાયેલા છે અને સંસ્કૃતિના સંરક્ષણ તથા વિકાસ માટે ભાષા અત્યંત જરૂરી છે.
સંયુક્ત માહિતી નિયામક મિતેશભાઈ મોડાસીયાએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે,આજના સમયમાં પ્રચાર-પ્રસારના વિવિધ માધ્યમોમાં ટ્રાન્સફોર્મેશન સ્પષ્ટ રીતે જોવા મળે છે. ડિજિટલ પ્લેટફોર્મ તથા એઆઈના પ્રભાવથી ડિજીટલ ક્રાંતિ આવી છે. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ પરંપરાગત માધ્યમો પર આધાર રાખવો પડતો હતો, જ્યારે હવે ડિજિટલ ક્રાંતિને કારણે રિયલ ટાઈમ રિપોર્ટિંગ શક્ય બન્યું છે. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા ક્ષણોમાં સમાચાર વાચકો સુધી પહોંચાડવા સરળ બન્યું છે.
ડિજિટલ યુગમાં બદલાતા માધ્યમો અને પત્રકારત્વની જવાબદારી વિષે તેમણે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આજથી થોડા વર્ષો પહેલા કચ્છના રણ વિસ્તારમાં નેટવર્કના અભાવે સમયસર પ્રેસનોટ તૈયાર કરવામાં અડચણો આવતી હતી, પરંતુ ડિજિટલ સાધનોના ઉપયોગથી હવે તે પ્રક્રિયા ઝડપી અને સુલભ બની છે.
કાર્યક્રમના પ્રારંભે ભાવનગર જિલ્લા માહિતી કચેરીના ઈ.ચા. નાયબ માહિતી નિયામક રેસુંગ ચૌહાણે સૌનું શાબ્દિક સ્વાગત કરી વસંતમાં જે રીતે પ્રકૃતિ નવા વાઘા પહેરે છે, તે જ રીતે સંચાર માધ્યમોમાં પણ ઝડપથી તેનો કલેવર બદલાઈ રહ્યું છે તેની ભૂમિકા આપી તેમણે સમય સાથે આપણે પણ નવા પરિવેશ સાથે અનુકૂલન સાધવું પડશે તેની જરૂરિયાત વર્ણવી હતી.આ અવસરે આભારવિધિ જૂનાગઢના નાયબ માહિતી નિયામક નરેશભાઈ મહેતાએ કરી હતી. કાર્યક્રમના અંતે શ્રોતાઓ સાથે પ્રશ્નોત્તરી યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત પત્રકારમિત્રો અને વિદ્યાર્થીઓ સક્રિય રીતે સહભાગી થયા હતાં.

કાર્યક્રમનું સંચાલન સહાયક માહિતી નિયામક રાધિકાબેન વ્યાસ અને માહિતી મદદનીશ કૌશિક શીશાંગીયાએ કર્યું હતું. કાર્યક્રમમાં નાયબ માહિતી નિયામક પ્રશાંત ત્રિવેદી, સહાયક માહિતી નિયામક સર્વ સુનિલ પટેલ, પારુલ આડેસરા, પ્રિયંકા પરમાર, પત્રકારમિત્રો, સાહિત્યકારો, જૂનાગઢ તથા રાજકોટ ઝોનનાં અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
