જામ ખંભાળિયા, તા. ૧૯-૦૪-૨૦૨૫

કલ્યાણપુર તાલુકાના કનકપર માળી ગામે રહેતા વેજાણંદભાઈ નાથાભાઈ ગામડા નામના 64 વર્ષના વૃધ્ધ ગત તારીખ 17 ના રોજ તેમની વાડીએ પાણીના બોરની ઇલેક્ટ્રિક્ટ મોટર ચાલુ કરવા જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના પુત્ર ભરતભાઈ વેજાણંદભાઈ ગામડાએ સ્થાનિક પોલીસને કરી છે.
____________________________________________________________________________
ઓખામાં પરપ્રાંતીય માછીમાર યુવાનને હાર્ટ એટેક
નવસારી જિલ્લાના વસર ગામના મૂળ વતની અને હાલ ઓખામાં રહેતા સંજયભાઈ મહેશભાઈ હળપતિ નામના 30 વર્ષના માછીમાર યુવાનને ગત તારીખ 17 ના રોજ રાત્રિના સમયે ઓખા નજીકના દરિયામાં હરિકૃપા બોટમાં હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ જગદીશભાઈ નાનુભાઈ ટંડેલે ઓખા મરીન પોલીસને કરી છે.
____________________________________________________________________________
ઓખામાં માછીમાર યુવાન સામે ગુનો
ઓખાના ગાંધીનગરી વિસ્તારમાં રહેતા અભુ ફકીરમામદ બંદરી નામના 20 વર્ષના માછીમાર યુવાને થોડા દિવસ પૂર્વે પોતાની બોટમાં માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગમાંથી ટોકન મેળવીને માછીમારી કરીને પરત આવ્યા બાદ આ ટોકન પરત જમા ન કરાવી, જુના ટોકન મુજબ ફિશીંગ કરવા જતા પોલીસે ઝડપી લઇ, તેની સામે ગુજરાત મત્સ્યોદ્યોગ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
____________________________________________________________________________
ખંભાળિયામાં બે જુગારીઓ ઝડપાયા
ખંભાળિયા નજીક પાણાખાણ વિસ્તારમાંથી પોલીસે અજય નરશીભાઈ સાલાણી અને પ્રભુ ઉર્ફે અજય નાનકભાઈ શ્રીમાણી નામના બે શખ્સોએ ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા મુદ્દામાલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)