
– હજારો ભક્તો ઉમટ્યા: ચપ્પલ, બુટનો કર્યો ત્યાગ –
જામ ખંભાળિયા, તા. ૩૦-૦૩-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાથલા ગામે આવેલા ઐતિહાસિક એવા શનિદેવ મંદિર ખાતે ગઈકાલે શનિવારે શનિ અમાવસ્યા નિમિત્તે હજારોની સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. અહીં મોટી સંખ્યામાં લોકોએ પોતાના ચપ્પલ-બુટને ત્યજી દીધા હતા.
ભાણવડ નજીક આવેલા હાથલા ગામમાં સ્થિત શનિદેવનું મંદિર એ સમગ્ર ભારતમાં એકમાત્ર શનિદેવનું જન્મ સ્થળ છે. શનિ દેવ નવ ગ્રહોમાંથી એક છે. શનિએ સાતમો ગ્રહ છે. ત્યારે લોકો પોતાની પનોતી ઉતારવા હાથલા સ્થિત શનિદેવની ખાસ મુલાકાત લે છે અને અહીં આવી પોતાના ચપ્પલ કે બુટને મૂકી જાય છે.
ગઈકાલે શનિવારે શનિ અમાવસ્યા હોવાથી જુદા જુદા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યા હતા અને પૂજન અર્ચન કરી અને પોતાના પગરખા અહીં મૂકી જઈને આસ્થા વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે આ દિવસે અહીંથી હજારોની સંખ્યામાં બુટ, ચપ્પલ એકત્ર થાય છે.
____________________________________________________________________________
(ફોટો:- મિલન કોટેચા)