
– ટેકાના ભાવે ચણાની ખરીદી ઓછામાં ઓછી 200 મણ કરવા માંગ –
જામ ખંભાળિયા, તા. ૨૯-૦૪-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લા સહિત રાજ્યના ખેડૂતોને ચણાની ટેકાના ભાવે ખરીદી, સફેદ ડુંગળીમાં સહાય તેમજ સિંચાઈના પાણી સહિતના મુદ્દે ખંભાળિયામાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા ખેતી વિકાસ અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા હાલ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં ખેડૂતોની મજાક બંધ કરવાનું જણાવી, હાલ ચણા અને રાયડાની ટેકાના ભાવે થઈ રહેલી ખરીદીમાં રાયડામાં 45,000 અને ચણાના 65,000 મળી કુલ 1.10 લાખથી વધુ ખેડૂતોના રજીસ્ટ્રેશન બ્લોક કરી દેવામાં આવ્યા છે. જે બાબતને ગંભીર ગણાવવામાં આવી છે. ચણા ખરીદીમાં એક ખેડૂત પાસેથી માત્ર 90 મણ જ ખરીદી કરવાનો નિર્ણય લઈ સરકારે ખેડૂતની મજાક કરવામાં આવી હોવાનું જણાવી, આમ આદમી પાર્ટી દ્વારા બ્લોક થયેલા રજીસ્ટ્રેશન અનબ્લોક કરવામાં આવે અને ચણાની ખરીદી માં પ્રતિ ખેડૂત ઓછામાં ઓછું 200 મણ સુધી ચણાની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી છે.
સફેદ ડુંગળીએ અનેક ખેડૂતોને રડાવ્યા છે. જેથી સરકાર ખેડૂતોને મદદ કરે તેમ જણાવી, ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રના ગામડાઓમાં ખેડૂતોએ સફેદ ડુંગળીનું મોટા પાયે વાવેતર કરેલું હતું, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન થયું છે. ભૂતકાળમાં જ્યારે પણ સફેદ ડુંગળીમાં ખેડૂતોને નુકસાન થયું છે ત્યારે સરકારે ખેડૂતો આર્થિક મદદ કરી છે. આ વખતે પણ સરકાર તાત્કાલિક ધોરણે પ્રતિ કિલો રૂ.10 સહાય પેટે જાહેરાત કરી ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી પણ માંગ કરી છે.
અનેક જિલ્લામાં સિંચાઈનું પાણી ન મળવાથી ફળદ્રુપ જમીન છોડીને ખેડૂત સ્થળાંતર કરવા મજબૂર થયો છે. જેના કારણે ગામડાઓ ભાંગી રહ્યા છે. આવા જિલ્લાઓમાં દરેક ગામડા સુધી સિંચાઈનું પાણી પહોંચાડી ખેડૂત અને ગામડાઓ બચાવવામાં આવે તેવી માંગ કરી, જગતનો તાત (ખેડૂત) ખેતી છોડીને આંદોલનનો રસ્તો અપનાવે, તે પૂર્વે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગણી જિલ્લા કિસાન સંગઠનના બલદેવભાઈ ગઢવી પત્રમાં દ્વારા કરવામાં આવી હતી.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)