Headlines

સમગ્ર રાજ્ય સાથે ખંભાળિયાની નગરપાલિકામાં પણ આજથી વહીવટદાર શાસન

– વિવિધ નીતિવિષયક નિર્ણયોમાં મામલતદારનો હસ્તક્ષેપ –

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૩-૨૦૨૬

     રાજ્યની જુદી જુદી 71 નગરપાલિકાઓમાં કાર્યરત વર્તમાન બોડીની મુદ્દત પૂર્ણ થતા સરકાર દ્વારા આજથી રાજ્યની આ 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તથા રાવલ નગરપાલિકામાં પણ હવેથી વહીવટદારનું શાસન રહેશે. 

     ખંભાળિયા નગરપાલિકાની વર્તમાન બોડીને અસ્તિત્વમાં આવ્યે પાંચ વર્ષ થઈ જતા હવે ખંભાળિયા સાથે રાવલ નગરપાલિકામાં આગામી માસમાં નવેસરથી ચૂંટણી યોજાનાર છે. તે પૂર્વે હવે આ તમામ નગરપાલિકામાં વહીવટદારની નિમણૂક કરતો હુકમ ગઈકાલે રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે.

      ગઈકાલે નગરપાલિકાના રાજ્ય નાયબ સચિવ નિલેશ મોદી દ્વારા જારી કરવામાં આવેલા આ ઓર્ડરમાં હવેથી રાજ્યની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક કરવામાં આવનાર છે. જેમાં ખંભાળિયાની નગરપાલિકાનો પણ સમાવેશ થનાર છે. આ સાથે જિલ્લાની એક નગરપાલિકા જામ રાવલમાં પણ વહીવટદારનું શાસન લાગુ થયું છે.

        ખંભાળિયા નગરપાલિકામાં હવે નવા કામોના વર્ક ઓર્ડર આપવા, પાણી-ગટર-લાઈટ અગ્નિશમન, સફાઈના સાધનો વાહનોમાં મરામતના કામો વિગેરેના નિયમોનુસાર ખર્ચ કરવા, સહિતના વિકાસ કાર્યો હવે વહીવટદારની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવશે. આ માટે ખંભાળિયા નગરપાલિકાના વહીવટદાર તરીકેની જવાબદારીના મામલતદારને સોંપવામાં આવી છે. ખંભાળિયા નગરપાલિકામાં હવે સભ્યો, સતાધારી જૂથની ચહલપહલ હવે મહદ અંશે ઓછી થઈ જશે.

     આમ, હવે 28 પૈકી 26 સભ્યોની બહુમતી ધરાવતી ભાજપ નગરપાલિકાની બોડીનું શાસન પૂર્ણ થયું છે અને આગામી દિવસોમાં હવે “અ” વર્ગની બની ગયેલી ખંભાળિયા નગરપાલિકામાં બે વોર્ડના વધારા સાથે 36 સભ્યો માટેની ચૂંટણી સંભવતઃ એપ્રિલ અથવા મે માસમાં યોજાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.

_____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *