Saturday June 21, 2025

સલાયાના વયોવૃદ્ધ મહિલાના બોગસ બર્થ સર્ટિફિકેટના આધારે વારસાઈ એન્ટ્રી કરાવી લેવાતાં ફરિયાદ

ભાઈઓ, ભત્રીજાઓ દ્વારા હક્ક ઉઠાવતી અરજી અને કબુલાતનામામાં સહીઓ કરાઈ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

     ખંભાળિયા તાલુકાના સલાયા ગામના મૂળ વતની અને હાલ જામનગર ખાતે રહેતા 85 વર્ષના એક બ્રાહ્મણ વૃદ્ધાના સદગત પિતાની મિલકત સંદર્ભે વારસાઈ એન્ટ્રી માટે બોગસ બર્થ સર્ટિફિકેટ કઢાવી, જમીન પરનો હક્ક પચાવી પાડવાના કથિત પ્રયાસ અંગે સુનિયોજિત કાવતરું રચવા સબબ ભાઈઓ તથા ભત્રીજાઓ વિગેરે સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

        આ સમગ્ર પ્રકરણની સિલસિલાબંધ વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સોડસલા ગામે રહેતા રેવાશંકરભાઈ ભટ્ટ નામના બ્રાહ્મણ વૃદ્ધની માલિકીની ચોક્કસ સર્વે નંબર વાળી 6-12 એકર વાળી જમીન આવેલી છે. આ જમીનના મૂળ માલિક રેવાશંકરભાઈ થોડા સમય પૂર્વે પામ્યા હોય, તેમના સીધી લીટીના વારસદાર તરીકે તેમના છ સંતાનો હતા. જેમાં લીલાધરભાઈ, કિશોરચંદ્ર, અશોકભાઈ, જ્યોત્સનાબેન, અરુણાબેન અને નિર્મલાબેનનો સમાવેશ થાય છે. 

      જમીનના મૂળ માલિક રેવાશંકરભાઈ થોડા સમય પૂર્વે અવસાન પામ્યા હોય, તેમના અવસાન બાદ તેમની સીધી લીટીના વારસદાર ત્રણ પુત્ર લીલાધરભાઈ, કિશોરચંદ્ર અને અશોકભાઈ દ્વારા તા. 1 એપ્રિલ 1991 ના રોજ નોંધ નંબર 414 થી વારસાઈ એન્ટ્રી કરી અને બધા વારસદારોના નામ દાખલ કરવામાં આવ્યા હતા અને તે જ દિવસે એટલે કે તારીખ 1 એપ્રિલ 1991 ના રોજ મૃતક રેવાશંકરભાઈના પુત્રી અને હાલ જામનગર ખાતે રહેતા જ્યોત્સનાબેન રમેશચંદ્ર પુંજાણી (ઉ.વ. 75) દ્વારા તેમના ઉપરોક્ત ભાઈઓ દ્વારા પૂર્વયોજિત કાવતરું રચીને તેમની જાણ બહાર અને સંમતિ કે કબુલાત વિના તેણી અભણ હોય, તેઓને લખતા કે વાંચતા આવડતું ન હોવાથી તેણીને સહી કરતા પણ આવડતું ન હતું.

        જે અંગેનો ગેરલાભ લઈ, અને તેમના ત્રણેય આરોપીઓએ ફરિયાદી જ્યોત્સનાબેનના નામે તેમની ખોટી સહી કરી અને તેમનો હક્ક ઉઠાવવાની અરજી તથા કબુલાત નામું ઉપરાંત કલમ 135 (ડી) ની તેમની ખોટી સહીઓ કરી લીધી હતી. 

       આ વચ્ચે ઉલ્લેખનીય છે કે થોડા સમય પૂર્વે આરોપી પૈકીના એક એવા ફરિયાદી જ્યોત્સનાબેનના ભાઈ લીલાધરભાઈ અવસાન પામ્યા હતા. આ પ્રકરણમાં ફરિયાદીની ખોટી સહીઓ કરી, અને તેમનો વારસાઈ હક્ક આરોપીઓએ ડુબાડી દીધો હતો. ઉપરોક્ત બાબતે ફરિયાદી જ્યોત્સનાબેને અહીંની પ્રાંત કચેરીમાં અપીલ કરી હતી. જેમાં આરોપીઓ કિશોરભાઈ અને અશોકભાઈ ઉપરાંત મૃતક લીલાધરભાઈના પુત્રો હિતેશ લીલાધરભાઈ, વિમલ લીલાધરભાઈ અને સંજય લીલાધરભાઈએ પ્રાંત કચેરી (રેવન્યુ ઓથોરિટી) સમક્ષ તેમની અપીલના આપેલા જવાબની સાથે તેઓનું બર્થ સર્ટિફિકેટ રજુ કર્યું હતું. જ્યારે મહત્વની બાબત કહે છે કે ફરિયાદી જ્યોત્સનાબેન ક્યારેય પણ સોડસલા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરવા ગયા ન હતા, પરંતુ પ્રાથમિક શાળાના આચાર્યએ તારીખ 19 જાન્યુઆરી 2024 ના રોજ તેમનું ખોટું જન્મ તારીખનું પ્રમાણપત્ર કાઢી આપ્યું હતું. જેમાં તેણે ધોરણ ચારમાં અભ્યાસ કરતા હોવાનું દર્શાવ્યું હતું. 

     આમ, ઉપરોક્ત આરોપીઓએ કિશોરચંદ્ર રેવાશંકર ભટ્ટ અશોક રેવાશંકર તેમજ મૃતક લીલાધરભાઈ રેવાશંકરએ કોઈપણ રીતે જ્યોત્સનાબેનની જાણ બહાર ફરિયાદી તથા આરોપીઓની સંયુક્ત ખેતીની જમીનમાં “વારસાઈ એન્ટ્રી પાડી આપવા બાબત” કરેલી અરજીમાં તેમજ કબુલાતનામામાં તથા જમીન મહેસુલ કાયદાની કલમ 135 (ડી) ની નોટિસમાં ખોટી સહીઓ કરીને તેમનો હક્ક ઉઠાવી લીધા સહિતની બાબતે સલાયા મરીન પોલીસમાં ફરિયાદ રજૂ કરી અને સોડસલા પ્રાથમિક શાળામાં પણ વય પત્રક અંગેના રેકોર્ડમાં સત્તાનો દુરુપયોગ કરી અને સોડસલા ગામની પ્રાથમિક શાળામાં ખોટું જન્મ પ્રમાણપત્ર કઢાવી આપવાના સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ખુલવા પામ્યું છે.

        જે અંગે જામનગરના રહીશ જ્યોત્સનાબેન રમેશચંદ્ર પુંજાણી (ઉ.વ. 75) ની ફરિયાદ પરથી સલાયા મરીન પોલીસે તેમના ત્રણ ભાઈઓ કિશોરચંદ્ર, અશોકભાઈ અને સ્વ. લીલાધરભાઈ ઉપરાંત ભત્રીજા વિમલ, હિતેશ અને સંજય તેમજ ખોટું જન્મનું પ્રમાણપત્ર કાઢી આપનાર આચાર્ય સામે સલાયા મરીન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જે અંગે પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ સ્થાનિક પી.આઈ. વી.એ. રાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top