


હરેશ જોષી, ભાવનગર
સહજ સાહિત્ય અને ભાવનગર ઇવેન્ટના સહયોગથી 30 માર્ચને રવિવારના રોજ ઝવેરચંદ મેઘાણી મીની ઓડિટોરિયમમાં વાર્તા, કવિતા અને હાસ્યના ત્રિવેણી સંગમરૂપ એક સરસ મજાનો સાહિત્યિક કાર્યક્રમ યોજાયો હતો.
સાહિત્યના ત્રિવેદી સંગમ જેવા આ કાર્યક્રમમાં ગુજરાતી ભાષા-સાહિત્ય ભવન ભાવનગર યુનિવર્સિટીના ડૉ. મહેન્દ્રસિંહ પરમાર, લોકભારતી સણોસરા વિદ્યાપીઠના ઉપકુલપતિ વિશાલભાઈ ભાદાણી, કવિતા કવિતાકક્ષાના જિતુભાઈ વાઢેર, ઉદયભાઈ મારુ, જગત ભટ્ટ, ગદ્યસભાના નીતિન ત્રિવેદી, પ્રવીણ સરવૈયા, પત્રકાર – કૉલમીસ્ટ જયેશ દવે તથા ભાવનગર ગદ્યસભા, બુધસભા, કવિતાકક્ષના સભ્યો, લોકભારતી સણોસરાના વિદ્યાર્થીઓ, ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનના વિદ્યાર્થીઓ અને ભાવનગરના સાહિત્યરસિક ભાવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહેલ.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહજ સાહિત્યના આનંદ ઠાકર(ઉના) દ્વારા કરવામાં આવ્યું હતું.
આ કાર્યકમમાં દર્શન પાઠક દ્વારા લેખક યોગેશ ન. જોશીની વાર્તા ‘લાડુ’નું વાચિકમ્ થયું. ભાવનગરના કવિયિત્રી હર્ષાબેન દવેએ પોતાના કાવ્યો અને ગઝલનું પઠન કર્યું હતું. ભાવનગર ગદ્યસભાના લેખક અને વાર્તાકાર અજય ઓઝાએ પોતાની વાર્તા ‘પહેલાં અને પછી’ નું મનભાવન વાચિકમ્ કર્યું. ભાવનગરના નવોદિત કવિ નયન જોશીએ પોતાનાં કાવ્યોનું પઠન કર્યું. ત્યારબાદ લોકભારતી સણોસરા વિદ્યાપીઠના ઉપકુલપતિ વિશાલ ભાદાણીએ પોતાની આગવી છટાથી પોતાની વાર્તા ‘મ્યુઝિયમ ઓફ ઇનોસન્સ’નું વાચિકમ્ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા. તેમજ સ્ટેન્ડઅપ કોમેડીના નવોદિત કલાકાર દીપક ત્રિવેદીએ કલા પ્રસ્તુતિ કરી.
આ સમગ્ર કાર્યક્રમનું ભાવનગર ઇવેન્ટસના મેઘરાજસિંહ અને તેમની ટીમ દ્વારા સુંદર મેનજમેન્ટ કરવામાં આવ્યું. દર્શન દિવાકરે સંગીત આપ્યું અને ઉમેશ બારૈયાએ પોસ્ટર ડિઝાઈન કરેલ. આમ ભાવનગરમાં આ કવિતા, વાર્તા અને હાસ્યના ત્રિવેણી સંગમનો નવતર પ્રયોગ સહજ સાહિત્ય દ્વારા થયો જેને ભાવનગરની કલાપ્રેમી જનતાએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો.