Saturday June 21, 2025

તત્વભેદ : પ્રો. પ્રવિણ સલિયા # તમને કક્કો આવડતો નથી! (ભાગ 1)

તમને કક્કો આવડે છે?
આપણે બાળકોને અભ્યાસ વિષયક કેટલાક પ્રશ્નો પૂછીએ છીએ : “તું કેટલામું ભણે છે?” ”તને કક્કો આવડે છે?” તેની પાસે આપણે બોલાવીએ પણ ખરા. ક ખ ગ ઘ! એવો પ્રશ્ન હું તમને પૂછું છું કે : તમે કેટલું ભણ્યા છો? સ્નાતક? અનુસ્નાતક? વાચસ્પતિ? “તો તમે કક્કા વિષે શું જાણો છો?” આપણો કક્કો આપણી ભાષાનું મૂળભૂત તત્ત્વ છે, ભાષાનો આધારસ્થંભ છે, આપણા ક થી જ્ઞ સુધીના વ્યંજનો અને સ્વરો વિષે આપણે ઘણું બધું નથી જાણતા! ભાષાકીય પરિપક્વતા માટે આ જાણવું ખૂબ જરૂરી છે. તો ચાલો જાણીએ કક્કા વિષયક જાણી-અજાણી વાતો.
ભાષાનું તત્ત્વ ધ્વનિ છે. બધી જ ભાષાઓને એના મૂળભૂત ધ્વનિઓ હોય છે, ડેનિયલ જહોન્સ એને ધ્વનિઘટક કહે છે. એમના મતે ભાષાનો નાનામાં નાનો સાર્થ એકમ એ ધ્વનિઘટક છે, આપણે જે ક, ખ, ગ, ઘ બોલીએ છીએ એ અનેક ક, ખ, ગ, ઘના પ્રતિનિધિરૂપ છે. એને લિપિબદ્ધ કરી શકાય છે. ભાષાને એક છેડે માત્ર ધ્વનિ અને બીજે છેડે અર્થ હોય છે, એનાથી આપણો વ્યવહાર અને ભાષાનો રમ્ય સંસાર ચાલતો હોય છે. આ વિશિષ્ટ ધ્વન્યાત્મક એકમોને આપણે કક્કો કહીએ છીએ. આપણો કક્કો ‘અષ્ટાધ્યાયી’કાર પાણિનિએ સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ઘડતી વખતે નિબદ્ધ કર્યો છે. એ જેટલો સહજ સરળ લાગે છે એટલો વૈજ્ઞાનિક પણ છે. કક્કો સ્વર અને વ્યંજન એમ બે પ્રકારના ધ્વનિઓનો બનેલો છે એમ આપણે કહીએ છીએ એ પૂરતું નથી. કક્કામાં અર્ધસ્વરો પણ છે, બે વ્યંજનો જોડાઈને બનેલા જોડાક્ષર ધ્વનિઓ પણ છે. ભાષાઓનું સંશોધન કરનારાઓએ એવું સાબિત કર્યું છે કે આજે જે ‘ક’(ક્+અ) બોલાય છે એ ભારત-યુરોપીય ભાષામાં ‘ક્વ’ (ક્+વ) બોલાતું હતું. એ અગાઉ ‘ક્ય’ (ક્+ય) બોલાતું હતું.પરિવર્તન સંસારનો નિયમ છે, એ સૂત્ર જગતની જેમ ભાષાને પણ લાગુ પડે છે. આજ સુધીમાં આપણી ભાષાના ધ્વનિઓમાં પણ અનેક પરિવર્તનો આવ્યાં છે અને હજી આવશે. આજે વૈદિક સંસ્કૃત ભાષાના ઋ,ૡ જેવા ધ્વનિઓ ઉચ્ચારણમાં નથી. તો ચાલો જોઈએ કે આપણા કક્કાની વૈજ્ઞાનિકતા કેવી છે.
ભાષાનો ધ્વનિ મનુષ્ય વડે ઉચ્ચારાય છે ત્યારે પ્રયત્ન, ઉચ્ચારણ સ્થાન, સ્વરતંત્રીની સ્થિતિ અને ઉચ્છ્વાસિત હવા આ ચાર પરિબળો ખૂબ મહત્ત્વનાં છે. એટલે એ પ્રમાણે ધ્વનિઓના વિભાગો કરવામાં આવ્યા છે.(1) આપણી વાણીનાં અવયવોએ ઉચ્ચારણ માટે અનેકવિધ પ્રયત્નો કરવા પડે છે, ત્યારે આપણે બોલી શકીએ છીએ. (આપણે કેવી રીતે બોલીએ છીએ, એનો ઉત્તર આપતા વૈયાકરણી પાણિનિએ ‘અષ્ટાધ્યાયી’માં જણાવ્યું છે કે ‘आत्माबुद्धया समेत्यर्थान मनोयुઙते विवक्षया I मन: कायाग्निमा हन्ति स: प्रेरयति मारुत: II એટલે કે આત્મા બુદ્ધિ વડે જગતના અર્થોને ગ્રહણ કરે છે, પછી બુદ્ધિ મનને પ્રેરે છે, મન શરીરના અગ્નિને પ્રેરે છે,અગ્નિ વાયુને પ્રેરે છે, ઉચ્છ્વસિત વાયુ આત્માનો સંદેશો વાણીના સ્વરૂપમાં અભિવ્યકત કરે છે, આટલી બધી પ્રક્રિયા પૂર્ણ થયા પછી આપણે આપણા વિચારો અન્ય સુધી પહોંચાડી શકીએ છેએ!) આ પ્રયત્નોના પણ પ્રકારો છે. બને છે એવું કે ફેફસાંમાંથી આવતી ઉચ્છ્વસિત હવાને વાણીનાં અવયવો રોકે છે, તેથી ત્યાં હવાનો સ્પર્શ થાય છે. એ રીતે સ્પર્શથી ઉચ્ચારતા ધ્વનિઓને આપણે સ્પર્શવ્યંજન કહીએ છીએ. ક થી મ સુધીના ધ્વનિઓ સ્પર્શવ્યંજનો છે. સ્પર્શ વ્યંજનોના ઉચ્ચારણ વખતે ઉચ્છ્વસિત હવા મુખવિવરમાં જુદા જુદાં સ્થાને સ્પર્શ કરે છે.તેથી આ ધ્વનિઓ ક, ખ, ગ, ઘ અને ઙ એ કંઠ્ય; ચ, છ, જ, ઝ અને ઞ એ તાલવ્ય; ટ, ઠ, ડ, ઢ અને ણ એ મૂર્ધન્ય; ત, થ, દ, ધ અને ન એ દન્ત્ય; અને પ, ફ, બ, ભ ને મ એ ઔષ્ઠ્ય ધ્વનિઓ તરીકે ઓળખાય છે. જ્યારે કેટલાક પ્રયત્નમાં ઉચ્છ્વસિત હવાને ઘર્ષણ સહિત બહાર નીકળવું પડે છે, એવી રીતે ઉચ્ચારતા ધ્વનિને સંઘર્ષી વ્યંજનો કહેવાય છે. સ, શ, અને ષ એ સંઘર્ષી વ્યંજનો છે. તે અનુક્રમે દન્ત્ય,તાલવ્ય અને મૂર્ધન્ય છે.
કક્કાની વાત અહીં પૂરી થતી નથી, શરુ થાય છે.
(ક્રમશ🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top