


લલિતકલા અને કલારત્ન એવોર્ડ મેળવનાર આર્ટિસ્ટ બ્રિજરાજસિંહ ગોહિલ કલારસિકો માટે મળવા જેવા માણસ
વિપુલ હિરાણી, ભાવનગર તા.૨
ભાવનગર જિલ્લામાં આર્ટિસ્ટ બ્રિજના નામથી ખ્યાતિ પામેલા બ્રિજરાજસિંહ પ્રતાપસિંહ ગોહિલ છેલ્લા પાંચ દસકા ઉપરાંતના સમયથી કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે.કલાત્મક ડિઝાઇન, સાઈનબોર્ડ,પેઇન્ટિંગ,સિનેમા સ્લાઇડ,સ્ટીલ ફોટોગ્રાફી,ગ્રાફિક્સ સહિતની બાબતોમાં સારું એવું નામ કમાયા બાદ હાલમાં લંડન અને કેનેડાના આર્ટ માસ્ટરોના અનુભવ લઈને એ.આઈ. ટેક્નોલોજી મારફત આંતરરાષ્ટ્રીય કક્ષાના ડ્રોઈંગ, પેઇન્ટિંગ લોગો સાથે ભારતીય લોકકલાના પોતાના જ મિક્સ મીડિયાથી તૈયાર કરેલ ૧૦ હજારથી વધુ પેઇન્ટિંગનો અદ્દભુત ખજાનો ધરાવે છે.૭૨ વર્ષની વયે આજે પણ કલા ક્ષેત્રે તેઓ પોતાનું યોગદાન આપી રહ્યા છે. કલા ક્ષેત્રની સફર દરમિયાન તેઓ ગુજરાત રાજ્ય લલિતકલા એવોર્ડ તેમજ રાજસ્થાન જયપુર લલિતકલાના ‘ કલા રત્ન ‘ એવોર્ડથી પણ સન્માનિત થયેલા છે.ભાવનગરના દરબારી કોઠાર પાછળ રહેતા આર્ટિસ્ટ બ્રિજ કલારસિકો માટે મળવા જેવું વ્યક્તિત્વ છે.