Friday June 20, 2025

કલ્યાણપુરના ભોપલકા ગામે વૃદ્ધની હત્યા મામલે મહિલાઓ સહિત આઠ સામે ગુનો દાખલ : સામાન્ય બાબતનું મનદુઃખ રાખીને ધોકા વડે કરી ઘાતકી હત્યા

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૪-૨૦૨૫

        કલ્યાણપુર તાલુકાના ભોપલકા ગામે ગતરાત્રે સામાન્ય કારણોસર 60 વર્ષીય એક વૃધ્ધની બોથડ પદાર્થ ફટકારીને ઘાતકી હત્યા થયાનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે બે મહિલાઓ સહિત કુલ આઠ લોકો સામે ગુનો નોંધી, હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે.

       આ ચકચારી બનાવની વિગત મુજબ કલ્યાણપુરથી આશરે 20 કિમી દૂર ભોપલકા ગામે રહેતા દેવરામ વાલાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષના સતવારા વૃધ્ધને ગતરાત્રે કોઈ શખ્સોએ લાકડા જેવા બોથડ પદાર્થના બેફામ ઘા મારતાં તેમનું લોહી લુહાણ હાલતમાં કરુણ મૃત્યુ નિપજ્યું હતું.

      આ ઘટના અંગે મૃતકના પુત્ર દામાભાઈ દેવરામભાઈ સોનગરા (ઉ.વ. 38, રહે. ભાટીયા, તા. કલ્યાણપુર) એ ભોપલકા ગામના રમેશ દામજીભાઈ રાઠોડ, સામુબેન રમેશ રાઠોડ, જયસુખ ટપુભાઈ રાઠોડ, રમીલાબેન જયસુખભાઈ રાઠોડ, ટપુ મનજીભાઈ રાઠોડ, દામા મનજીભાઈ રાઠોડ, દેવશી મનજીભાઈ રાઠોડ અને મુકેશ દામાભાઈ રાઠોડ સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે. 

       આ ફરિયાદમાં જણાવાયા મુજબ મૃતક દેવરામભાઈ સોનગરાએ છેલ્લા બે વર્ષથી તેમના સંબંધથી એવા રણમલ જેઠાભાઈ રાઠોડની ખેતીની જમીન ભાગમાં વાવેતર માટે રાખી હતી. જેમાં દેવરામભાઈએ વાવેતરમાં રાખેલી વાડીમાં જીરૂનો પાક બળી ગયો હતો. આ પ્રકરણમાં રમેશભાઈના કુટુંબી ટપુ મનજી રાઠોડ, દામા મનજી, દેવસી મનજી અને મુકેશ દામા પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી. 

      મૃતકે ભાગમાં રાખેલી જમીનમાંથી જીરૂનું વાવેતર બે મહિના પહેલા બળી ગયું હોવાથી તેમને શંકા હતી કે વાવેતર કરેલા જીરૂના લીલા પાકમાં બાજુમાં રહેતા રમેશ રાઠોડ અને તેના ભાઈઓ તથા ઘરના સભ્યોએ બળી જવાની દવા છાંટી, લીલા જીરૂનો પાક બાળી નાખ્યો હતો. જેથી મૃતક અને રમેશ રાઠોડના પરિવાર વચ્ચે બે મહિનાથી જીરૂ બળી ગયાનું મનદુઃખ ચાલ્યું આવતું હતું.

      આના અનુસંધાને આરોપી રમેશ, જયસુખ, તેના પત્ની રમીલાબેન જયસુખ, રમેશના પત્ની સામુબેન વિગેરે સાથે અગાઉ બોલાચાલી થઈ હતી. આ પ્રકરણ બાદ ગઈકાલે રાત્રિના આશરે 10 થી 11 વાગ્યાના સમયગાળા વચ્ચે ભોપલકા ગામે જે ખેતરમાં તેઓ વાવેતર કરે છે, તેના શેઢે આરોપીઓ લાકડાના ધોકા વડે દેવરામભાઈ પર તૂટી પડ્યા હતા અને લોહી લુહાણ હાલતમાં તેમની હત્યા નિપજાવી હતી.

     આ બનાવ અંગેની જાણ થતાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડ તેમજ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડની ટીમ તાકીદે ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ પ્રકરણમાં મૃતકના પુત્ર દામાભાઈની ફરિયાદ પરથી બે મહિલાઓ સહિત તમામ આઠ શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે હત્યારાઓને ઝડપી લેવા કલ્યાણપુર પોલીસ સાથે એલસીબી અને એસઓજીની ટીમ પણ જોડાઈ છે.

    ઘાતકી હત્યાના આ બનાવે નાના એવા ભોપલકા ગામમાં ભારે ચર્ચા પ્રસરાવી છે. હત્યાના આરોપીઓને ઝડપી લેવા માટે કલ્યાણપુરના પી.એસ.આઈ. ઉષાબેન અખેડ તેમજ તેમની ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top