–
જામ ખંભાળિયા, તા. ૦૧-૦૬-૨૦૨૫
ખંભાળિયા તાલુકાના દખણાદાદા બારા ગામે રહેતા એક યુવાનને લગ્ન કરાવી આપવાની લાલચ આપીને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના સામઢી ગામના ચેહરસિંગ બાબુસિંગ સોલંકી અને અમરતજી મણાજી જગાણીયા નામના બે શખ્સોએ ખોટા નામ ધારણ કરી અને ઉપરોક્ત યુવાનના લગ્ન કરાવી આપ્યા હતા.
લગ્નના પાંચ દિવસ બાદ બંને આરોપીઓએ ભોગ બનનાર સાથે છેતરપિંડી કરતા આ સમગ્ર પ્રકરણ સંદર્ભે ગત તારીખ 21-05-2023 ના રોજ સલાયા પોલીસ મથકમાં ઉપરોક્ત બંને શખ્સો સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાવ્યો હતો આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી વી.એન. સિંગરખિયા દ્વારા આરોપીઓની આઈ.પી.સી. કલમ 370 (2), 406, 420, 506 (2) તથા 114 મુજબ અટકાયત કરી અને અદાલતમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.
આ સમગ્ર કેસ ખંભાળિયાના પ્રિન્સિપાલ સેશન્સ જજ શ્રી એસ.વી. વ્યાસ સમક્ષ ચાલી જતા નામદાર અદાલતે બંને આરોપીઓને તકસીરવાન ઠેરવી, 10 વર્ષની સજા તેમજ પ્રત્યેકને રૂપિયા એક-એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ કમલેશભાઈ સી. દવે દ્વારા દલીલો કરવામાં આવી હતી.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)