Friday June 20, 2025

ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા. ૧-૨-૨૦૨૫

(કુંજન રાડિયા દ્વારા)

       પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ) છે અને વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીના સાંસદ તરીકે રાજ્ય સભામાં આંધ્ર પ્રદેશનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીની કોર ટીમના સભ્ય એવા પરિમલ નથવાણી રિલાયન્સના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણીને પોતાના ગુરુ અને આદર્શ માને છે.

       પરિમલભાઈની કોઠાસૂઝ અને કોઈ પણ સમસ્યામાંથી ત્વરિત ઉકેલ શોધવાના કૌશલ્યને જાણવું હોય તો ગુજરાતના જામનગર સ્થિત દુનિયાની સૌથી મોટી રિફાઈનરી જ જોઈ લો. રિલાયન્સના સ્વપ્નદૃષ્ટા સ્વ. ધીરુભાઈ અંબાણીની પરિકલ્પનાને સાકાર કરવા અતિઆવશ્યક એવા જામનગરના જમીન સંપાદનના અશક્ય ટાસ્કને પરિમલભાઈ બખૂબી પાર પાડી ચૂક્યા છે. એટલું જ નહીં, રિલાયન્સ પેટ્રોલિયમના રિટેલ આઉટલેટ્સ, રિટેલ સાહસોની સ્થાપના, ગેસ ટ્રાન્સપોર્ટેશન પાઈપલાઈન બિછાવવી કે પછી પશ્ચિમના રાજ્યોમાં જિયો મોબાઈલનું નેટવર્ક સ્થાપિત કરવાનું હોય, શ્રી નથવાણીએ આ બધા ટાસ્ક આડેના અવરોધોને આગવી સૂઝબૂઝથી દૂર કર્યા છે. અત્યારે તેઓ ગુજરાતમાં રિલાયન્સના સૌર ઊર્જા, પવન ઊર્જા અને ગ્રીન હાઇડ્રોજન સહિતના ન્યૂ એનર્જી વ્યવસાયનું સુકાન સંભાળી રહ્યા છે.

       જૂન 2020માં આંધ્રપ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા પહેલાં તેઓ સતત બે ટર્મ (2008થી 2020 સુધી) ઝારખંડમાંથી રાજ્યસભાના અપક્ષ સાંસદ રહી ચુક્યા છે. સંસદ આદર્શ ગ્રામ યોજના (એસએજીવાય), ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય, સ્વચ્છતા વિગેરે ક્ષેત્રોમાં તેઓએ ઉમદા કામગીરી કરી છે. જેનું નિરૂપણ રાંચી સ્થિત ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દૈનિકે રિલિઝ કરેલા બે પુસ્તક ‘ઝારખંડ મેરી કર્મભૂમિ (હિન્દી)’ તથા ‘એડોરેબલ એન્ડ એડમાયરેબલ પરિમલ નથવાણી’માં સુપેરે કરાયું છે.

       ઝારખંડમાં પોતાની સતત બે ટર્મ (12 વર્ષ) દરમિયાન પરીમલભાઈ નથવાણીએ કરેલા લોકોપયોગી કાર્યોને આજે પણ ત્યાંની જનતા યાદ કરે છે. તેનું એકમાત્ર કારણ એ છે કે તેમણે સાંસદ તરીકે પોતાને મળતા ફંડ (MPLAD)નો 100 ટકા ઉપયોગ સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY), ગ્રામીણ માળખાગત સુવિધાઓ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વગેરે માટે કર્યો હતો. SAGY અંતર્ગત તેમણે દત્તક લીધેલા ત્રણ ગામ બરામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાડાગમાં કરેલા વિકાસ કાર્યો રાજ્યમાં માત્ર વખણાયા જ નથી, પરંતુ અનુકરણીય પણ બની રહ્યા છે. 

       ઓક્ટોબર 2019 સુધી ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (GCA)ના ઉપાધ્યક્ષ તરીકે સેવાઓ આપનારા શ્રી પરિમલ નથવાણીનું અમદાવાદમાં મોટેરા ખાતે બનેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં પણ અનેરું યોગદાન છે. આ ભગીરથ પ્રોજેક્ટના સંપૂર્ણ કાર્યનું તેમણે સફળતાપૂર્વક નિરીક્ષણ અને અમલીકરણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને પાયાથી ઊભું કરવાનું કાર્ય શ્રી નથવાણીએ જી.સી.એ.ના પૂર્વ પ્રમુખ અને ભારતના ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અને ગાઢ સહયોગ સાથે સંપન્ન કર્યું હતું.

     ગુજરાત સરકારના વિવિધ બિઝનેસ ડેલિગેશન્સના સભ્ય તરીકે પરિમલ નથવાણીએ ચીન, જાપાન, રશિયા, સાઉથ કોરિયા, સ્વિત્ઝર્લેન્ડ, યુગાન્ડા, કેન્યા, અસ્ત્રાખાન સહિતના ડઝનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે અને વાઇબ્રન્ટ ગુજરાત રોડ શોમાં ભાગ લીધો છે. તેના કારણે તેમને વિશ્વના બિઝનેસ લીડર્સ સાથે સંવાદ સાધવાની પણ તક સાંપડી હતી. 

       પરિમલભાઈ સતત 15 વર્ષ સુધી ગુજરાતના દ્વારકાધીશ મંદિર ટ્રસ્ટના ઉપાધ્યક્ષ રહ્યા હતા. ગુજરાત સરકાર સાથે સાયુજ્ય સાધીને તેમણે રિલાયન્સના પ્રતિનિધિ તરીકે પવિત્ર નગરી દ્વારકાના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. પરીમલભાઈ નથવાણી સતત 11 વર્ષથી નાથદ્વારા મંદિર બોર્ડના પણ સભ્ય છે – આ બોર્ડ રાજસ્થાનમાં આવેલા પુષ્ટિ માર્ગીય શ્રીનાથજી મંદિરના વહીવટનો કાર્યભાર સંભાળે છે.

       હાલ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)માં અધ્યક્ષ તરીકે શ્રી નથવાણી ગુજરાતમાં ફૂટબોલની રમતને વેગ આપવામાં પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. તેઓ ગુજરાતમાં મક્કમતાથી ફૂટબોલની રમતનો પાયાના સ્તરથી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે.

     પરિમલભાઈ પરિમલ નથવાણી વન્યજીવન માટે ખૂબ જ ઉત્સાહી છે, ખાસ કરીને ગીરના સિંહો માટે. વિશ્વમાં એકમાત્ર ગીરમાં જ જોવા મળતાં એશિયાટિક સિંહોના જતન અને સંવર્ધન માટે તેમણે ઘણાં કાર્યો કર્યા છે. એશિયાટિક સિંહોના જાજરમાન ગૌરવનો દુનિયા સાથે પરિચય કરાવવા તેમણે ‘ગીર લાયનઃ પ્રાઇડ ઓફ ગુજરાત’ અને ‘કોલ ઓફ ધ ગીર’ નામના બે સમૃદ્ધ પુસ્તક તૈયાર કરાવ્યા છે. આ સાથે શ્રી પરિમલ નથવાણીએ એશિયાટીક સિંહો પર ‘ધ પ્રાઇડ કિંગ્ડમ’ નામે એક વિડિયો ડોક્યુમેન્ટરી પણ પ્રસિધ્ધ કરી છે, જે યુટ્યુબ સહિતના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. 

       પરિમલ નથવાણીએ ઘણાં લાંબા સમય સુધી શ્રી ધીરુભાઈ સાથે ખૂબ જ નજીકથી કામ કર્યું હતું. શ્રી ધીરુભાઈની વિચારસરણી, કામ કરવાની ઢબ, સંબંધો જાળવવાની કુનેહ, વ્યાવસાયિક દૂરંદેશી, કામ પ્રત્યેની પ્રતિબધ્ધતા, નવું જાણવા અને વિચારવાની ખેવના, નવી ટેકનોલોજી અને યુવાનો પરનો વિશ્વાસ, વગેરે અનુભવોને શબ્દોમાં કંડારતા નથવાણીએ સપ્ટેમ્બર 20223માં “એકમેવ… ધીરુભાઈ અંબાણી” પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકમાં શ્રી ધીરુભાઈ અંબાણીના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ, જેમ કે એક વિચારક, એક ઉદ્યોગ સાહસિક, એક સ્વપ્નદૃષ્ટા, પરિવારના મોભી, એક રોલ મોડલ, વગેરેને સુપેરે આવરી લેવાયાં છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશભાઈ અંબાણીએ આ પુસ્તકની પ્રસ્તાવના લખી છે.

      આ ઉપરાંત પરિમલભાઈ નથવાણી વિવિધ સમિતિઓ અને બોર્ડમાં સભ્યપદ ધરાવે છે. જેમાં સભ્ય, વિજ્ઞાન અને તકનિકી, પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન અંગેની સંસદીય સ્થાયી સમિતિના સભ્ય છે. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ચેરમેન, ભારતીય બંધારણ ક્લબના આજીવન સભ્ય, બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્ય, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટીના સભ્ય, રાજ્ય સરકારની ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સદસ્ય, GEET ફાઉન્ડેશનના સ્થાપક ડાયરેકટર, ગીરમાં પર્યાવરણીય અને ઇકોલોજીકલ પ્રવાસનને ઉત્તેજન આપતી બિન-સરકારી સંસ્થામાં પણ સેવારત છે.

        વતન ખંભાળિયામાં અગાઉ દુષ્કાળના સમયમાં ટ્રેન મારફતે નિયમિત પાણી પહોંચાડવાની તેમની વ્યવસ્થા આજે પણ ખંભાળિયાવાસીઓ માટે અવિસ્મરણીય છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top