
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫
ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે રહેતા કાનાભાઈ રાણાભાઈ કરમુર નામના વેપારીની માધવ એગ્રો નામની દુકાનમાં ગત તારીખ 21 માર્ચના રોજ રાત્રિના સમયે કોઈ તસ્કરોએ પ્રવેશ કરી અને દુકાનનો પાછળનો દરવાજો ખોલી અને દુકાનના કાઉન્ટરના ટેબલના ખાનામાં રાખવામાં આવેલા રૂપિયા 44 હજારની રોકડ રકમની ચોરી થયાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા પોલીસમાં નોંધાવવામાં આવી હતી.
આ પ્રકરણ સંદર્ભે ખંભાળિયાના પી.આઈ. સી.એલ. દેસાઈના વડપણ હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સર્વેલન્સ સ્ટાફના હેમતભાઈ નંદાણીયા, રોહિતભાઈ થાનકી, કરણભાઈ દિનેશભાઈ તેમજ નવલદાન આલાભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે વિંજલપર ગામના ભરત સોમાભાઈ છુછર નામના 28 વર્ષના શખ્સને ચોરીના રૂ. 34,200 તથા ચોરીની રકમ દ્વારા ખરીદ કરવામાં આવેલી ચીજ વસ્તુઓ સહિત કુલ રૂપિયા 51,700 ના મુદ્દામાલ સાથે અટકાયત કરી લેવામાં આવી હતી.
આરોપી ભરત સોમાભાઈ દ્વારા જુદી-જુદી દુકાનમાંથી ચીજ વસ્તુ લેવા માટે જઈ અને દુકાનોની ચકાસણી કરી, ચોરી કરવાની મોડેસ ઓપરેન્ડી ધરાવતો હોવાનું જાહેર થયું છે.
જે અંગે પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.

(ફોટો:- કુંજન રાડિયા)