
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૩-૨૦૨૫
ખંભાળિયામાં જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી એ.બી. પાંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ રિધ્ધિબા જાડેજાની ઉપસ્થિતિમાં જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જનપ્રતિનિધિઓના પડતર પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી અધિકારીઓ પાસેથી જવાબો મેળવ્યા હતા. ઉપરાંત બેઠકમાં સિંચાઇ, પાણી પુરવઠો, વીજ વિભાગ, માર્ગ અને મકાન, આરોગ્ય, રાષ્ટ્રીય ધોરીમાર્ગ સહિતના વિવિધ વિભાગોના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી પડતર પ્રશ્નો તાકીદે પૂર્ણ કરવા તેમજ યોગ્ય પ્રત્યુતર પાઠવવા સૂચના આપી હતી. ઉપરાંત નાગરિકની સમસ્યાઓને અગ્રતા આપી તાકીદે નિરાકરણ લાવવા અધિકારીઓ તથા કર્મચારીઓને સૂચનો આપ્યા હતા. સાથે રજૂ કરવામાં આવેલ ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થાપન, રોડ સેફ્ટી, જમીન માપણી જેવા વિવિધ મુદ્દે વિગતવાર સમીક્ષા કરી યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારીએ સૂચનો આપ્યા હતા.
જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એચ.એ. જોશી, નાયબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ સહિત સંકલન સમિતિના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)