Saturday June 21, 2025

ખંભાળિયા નજીકની ખાનગી કંપનીમાં થયેલી વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો

એલસીબી પોલીસે ત્રણ શખ્સોને રૂ. 1.12 લાખના મુદ્દામાલ સાથે દબોચી લીધા

જામ ખંભાળિયા

  ખંભાળિયા-જામનગર હાઈવે માર્ગ પર આવેલી એસ્સાર કંપનીમાં તાજેતરમાં થયેલી વાયર ચોરીના નોંધાયેલા ગુનામાં એલ.સી.બી. પોલીસે તાકીદની કાર્યવાહી કરી, અને આ વિસ્તારમાં રહેતા ત્રણ મુસ્લિમ શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

  આ સમગ્ર પ્રકરણ અંગે એલ.સી.બી. સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયાથી જામનગર તરફ જતા ધોરીમાર્ગ પર આવેલી એસ્સાર કંપનીમાંથી કિંમતી વાયરની ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ સમગ્ર પ્રકરણમાં એલ.સી.બી.ના એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, હરપાલસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામના વાડી વિસ્તારમાં આવેલા એક મંદિરની પાછળ રહેતા આલી કરીમ સંઘાર નામના શખ્સ દ્વારા તેના મળતિયાઓ સાથે મળીને એસ્સાર કંપનીમાં કેબલ વાયરની ચોરી કરી હતી અને આ મુદ્દામાલ તેના ઘરે હોવાથી સ્થાનિક ગુના શોધક શાખાના સ્ટાફ દ્વારા અહીં દરોડો પાડવામાં આવ્યો હતો.

    આ સ્થળેથી શંકાસ્પદ હિલચાલ ધરાવતા આલી ઉર્ફે આલો કરીમ આમદ સંઘાર (ઉ.વ. 35), નાના આંબલા ગામના અકબર અબ્બાસ સંઘાર (ઉ.વ. 28) અને સિરાજ ઓસમાણ ઘાવડા (ઉ.વ. 29, રહે. ટીંબડી) નામના ત્રણ શખ્સોની અટકાયત કરી અને આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીઓએ ઉપરોક્ત ચોરીની કબુલાત આપી હતી.

    આ પ્રકરણમાં પોલીસે 105 કિલોગ્રામ વાયર તેમજ અન્ય મુદ્દામાલ મળી, કુલ રૂપિયા 1,12,050 નો મુદ્દામાલ કબજે કરી, વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો ખંભાળિયા પોલીસને સોંપ્યો છે.

   આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એ.એલ. બારસિયા, એ.એસ.આઈ. સજુભા જાડેજા, ડાડુભાઈ જોગલ, સહદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ નકુમ તેમજ વિશ્વદિપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. 

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top