જામ ખંભાળિયા, તા. ૦૬-૦૩-૨૦૨૬
ખંભાળિયા – જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 11 કિલોમીટર દૂર દાતા ગામની ગોલાઇ પાસેથી પસાર થઈ રહેલા 60 વર્ષના એક અજાણ્યા વૃદ્ધને આ માર્ગ પર પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલા એક મોટરકારના ચાલકે ઠોકર મારતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાનું બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો.
અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા કાર ચાલકની શોધખોળ કરવા માટે અહીંના ઈન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં સીસી ટીવી ફૂટેજની ચકાસણી તેમજ ટેકનિકલ એનાલિસિસ બાદ આ અકસ્માતના ગુનામાં સંડોવાયેલા એવા ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામના રહીશ સાહિલ આદમ મથુપૌત્રા નામના 21 વર્ષના શખ્સને પોલીસે ઝડપી લઇ, ઈક્કો કાર કબજે કરી હતી.
આ સમગ્ર કાર્યવાહીમાં પીએસઆઈ વી.આર. વસાવા, હેડ કોન્સ્ટેબલ કાનાભાઈ લુણા, બલુભાઈ ગઢવી અને અરજણભાઈ આંબલીયાની ટીમ જોડાઈ હતી.
_____________________________________________________________________________
(ફોટો: કુંજન રાડિયા)
