
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૧-૦૨-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ગુરૂવાર તારીખ 27 નીતિ 17 એપ્રિલ સુધી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓની પરીક્ષાઓ શરૂ થનાર છે. બોર્ડની જાહેર પરીક્ષાઓને આનુષાંગિક તૈયારી અંગેની વિડીયો કોન્ફરન્સ શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, રાજયકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશ કુમારની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓ યોગ્ય તૈયારીઓ સાથે યોજાય તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વિડીયો કોન્ફરન્સમાં ખંભાળિયામાં જિલ્લા સેવા સદન ખાતે કલેકટર આર.એમ. તન્ના તેમજ જિલ્લા પરિક્ષા સમિતિના સંબંધિત અધિકારીઓ પણ જોડાયા હતા.
આ વિડીયો કોન્ફરન્સમાં પરીક્ષા સંબંધે કેન્દ્રોની સંખ્યા, બ્લોક વ્યવસ્થા અને તમામ પરીક્ષા સ્થળો ઉપર યોગ્ય સી.સી. ટી.વી. વ્યવસ્થા અંગેની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ, સતત વીજપુરવઠો જળવાઈ રહે તે માટેનું આયોજન, પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી અને સ્ટ્રોંગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી અને કર્મચારીને પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટ વ્યવસ્થા, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે બસ વાહનવ્યવહારની સગવડ વિગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમિતીના જણાવ્યા અનુસાર દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ધોરણ 10 ના કુલ 9,246 વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ 8 કેન્દ્રોમાં લેવાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના કુલ 3,740 વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ 6 કેન્દ્રોમાં લેવાશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના કુલ 331 વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ 2 કેન્દ્રોમાં લેવાશે.
આમ, જિલ્લામાં ધોરણ 10 અને 12 ના કુલ 13,317 વિદ્યાર્થીઓની પરીક્ષા કુલ 16 કેન્દ્રોમાં 56 બિલ્ડિંગ્સના 472 બ્લોક અંતર્ગત લેવાશે.