
જામ ખંભાળિયા, તા. ૨૨-૦૨-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાના એડમિનિસ્ટ્રેટિવ જસ્ટીસ શ્રી એચ.એસ. પ્રચ્છકના માર્ગદર્શન અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદી અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન એસ.વી. વ્યાસની સીધી દેખરેખ હેઠળ દ્વારા આગામી તા. 8 માર્ચના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં આ વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત તેમજ સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીંટીંગનું આયોજન કરવામાં આવ્યું છે.
આ લોક અદાલતમાં અદાલતમાં ચાલતા હોય તેવા તમામ સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી પેન્ડિંગ કેસો લગ્ન વિષયક તકરારો, મોટર અકસ્માત વળતર કેસ, દિવાની કેસ, કામદાર વળતર કેસ, મોબાઇલ કંપની સાથેના વિવાદ, ફોજદારી સમાધાન પાત્ર ગુન્હાઓના કેસ, જમીન સંપાદન વળતર, બેન્ક રીકવરી, પેન્શન, ગ્રાહક સેવા તકરારની બાબતો, વીજ કંપનીના કેસ વિગેરે તમામ કેસો મુકવામાં આવનાર છે.
અહીં પ્રિ–લીટીગેશન કેસો, જેમાં પબ્લીક યુટીલીટી સર્વિસીસ સાથે સંકળાયેલા કેસો વીજ તથા પાણીના બાકી લેણાંનાં કેસ, ટ્રાફિક ચલણના કેસ, નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ ના કેસ, બેંક રીકવરી કેસ, લેબર ડીસ્પ્યુટસ, ઉજાસ – પ્રિ લીટીગેશન, વૈવાહિક તકરાર અંગેના કેસ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જુદા-જુદા સ્ટેક હોલ્ડર જેવા કે, વકીલો, સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ, કલેકટર તથા રેવન્યુ વિભાગના અધિકારીઓ, બેંક તથા ફાયનાન્સીયલ ઇન્સ્ટીટયુટના અધિકારીઓ તથા સંસ્થાઓના હોદેદારો સાથે સદર લોક અદાલત તથા સ્પેશીયલ મેજીસ્ટ્રેયીલ સીટીંગના સંદર્ભમાં પીરીયોડીકલી મીટીંગો યોજી પરીણામલક્ષી આયોજન કરવામાં આવેલ છે.
આ જિલ્લામાં આવેલી જુદી-જુદી અદાલતો દ્રારા પેન્ડિંગ તથા પ્રિ -લીટીગેશન મળીને કુલ 1864 થી વધુ કેસો ફાઇન્ડ આઉટ કરી મુકવામાં આવેલ છે. વધુમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા ના જુદા જુદા સ્થળો પર કેમેરા લગાવી ટ્રાફિકનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને ઈ – ચલણ ઇસ્યૂ કરવામાં આવ્યા હોય,આ ઈ – ચલણ ન ભર્યા હોય તેવા કુલ 2510 વાહન ચાલકો વિરૃદ્ધ ઈ- ચલણની પ્રિ-લીટીગેશન નોટિસ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દ્વારા ઇસ્યૂ કરવામાં આવી છે. જેથી આવા વાહન ચાલકો કોર્ટની કાર્યવાહીથી બચવા તાત્કાલિક ખંભાળિયામાં “નેત્રમ” કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર કે જિલ્લાની નજીક ની ટ્રાફિક શાખા અથવા તા. 8 માર્ચના રોજ લોક અદાલતના દિવસે રૂબરૂ કે ઓનલાઇન પર ભરી શકાશે.
લોક અદાલતના માધ્યમ થકી કેસને ખુબજ ઝડપથી પુરો કરાવવા જે-તે વિસ્તારમાં આવેલી નજીકની કોર્ટમાં તાલુકા કાનૂની સેવા સમિતિના સંપર્ક કરવા અથવા ખંભાળિયામાં સલાયા રોડ ઉપર હર્ષદપૂર વિસ્તારમાં આવેલા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય કચેરીના ટેલિફોન નંબર – 02833-233775 /9227115100 પર સંપર્ક કરવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ દ્વારા અપીલ કરવામાં આવી છે.
(ફોટો:- કુંજન રાડિયા)