
– સમાન નાગરિક સંહિતાની અમલવારી પૂર્વે લોકોના વિચારો જાણવા આવશ્યક: સી.એલ.મીણા –
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૩૦૨૫
દેશના નાગરિકોને સમાન પ્રકારનો કાયદો અને વ્યવસ્થા મળે તેવી પરિકલ્પના આપણા બંધારણના ઘડવૈયાઓએ સેવી હતી. જે પથ પર આગળ વધતા રાજ્યમાં સમાન સિવિલ કોડ સંદર્ભે યુ.સી.સી. (UCC) સમિતિ દ્વારા વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ નાગરિકોના પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે. જે અન્વયે આજરોજ ખંભાળિયાની કલેક્ટર કચેરી ખાતે સમાન સિવિલ કોડ સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં સમિતિના સભ્ય સી.એલ. મીણાએ કહ્યું કે, રાજ્યમાં સમાન નાગરિક સંહિતાનું અમલીકરણ કરવામાં આવે તે પૂર્વે નાગરિકોના વિચારો જાણવા ખૂબ જ આવશ્યક છે. નાગરિકોના વિવિધ તર્કસંગત અભિપ્રાયોના અભ્યાસ બાદ સમિતિ પોતાનો અહેવાલ સરકાર સમક્ષ રજુ કરશે.
સમિતિના સિનિયર એડવાઈઝર શત્રુઘ્નસિંહ કહ્યું હતું કે, સમાન નાગરિક સંહિતાએ કોઇ ધર્મ કે સમાજના રીતરિવાજો બદલવા માટે નથી. સમાન નાગરિક સંહિતાએ વર્તમાન સમયની સાથે કઈ રીતે તાલમેલ કેળવી શકાય એ દિશા તરફ જવાનો એક પ્રયત્ન છે. નાગરિકો પોતાના મંતવ્ય અને સૂચનો આપે જેથી ઉત્તમ પ્રકારની આ સંહિતાનું નિર્માણ કરી શકાય એ માટે સહયોગની અપેક્ષા સમિતિના સભ્યોએ વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્ર સહીત દેવભૂમિ દ્વારકા જિલ્લાવાસીઓએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર યુ.સી.સી. સમિતિ સમક્ષ પોતાના તર્કસંગત વિચારો પ્રસ્તુત કર્યા હતાં. રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર અથવા – સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં.1, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર 10 એ, ગાંધીનગર, પિન- 382010 પર પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે.
આ બેઠકમાં કલેક્ટર આર.એમ. તન્ના, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, કાયદા નિષ્ણાતો, ધાર્મિક સંસ્થાઓનાં અગ્રણીઓ, સામાજિક કાર્યકરોએ ઉપસ્થિત રહી યુ.સી.સી. અંગે પોતાના સૂચનો-મંતવ્યો રજૂ કર્યા હતા.



(ફોટો:- કુંજન રાડિયા)