– વાતાવરણ ઠંડુ બની રહેતા જનજીવન પ્રભાવિત –
જામ ખંભાળિયા, તા. ૩૧-૧૨-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને કેટલાક સ્થળોએ અમીછાંટણા સાથે ઠંડીનું જોર પણ વધ્યું છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ આજે બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક સ્થળોએ હળવા છાંટા વરસ્યા હતા. આ સાથે સૂર્યનારાયણના દર્શન પણ મોડા થયા હતા. બદલાતા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર પણ વધતા જનજીવન પ્રભાવિત બન્યું છે. આ પરિસ્થિતિમાં તાવ, શરદી જેવા વાઇરલ રોગોનું પણ પ્રમાણ વધ્યું છે.
(કુંજન રાડિયા)
