– કૃષ્ણ અને રુકિમણીજીના વિવાહ સત્કાર સમારોહની તૈયારીઓની સમીક્ષા કરતા કલેકટર –
જામ ખંભાળિયા, તા. ૨૭-૦૩-૨૦૨૫
ભારતના ઉત્તર – પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા. 6 એપ્રિલથી તા. 10 એપ્રિલ સુધી યોજાશે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃ ઉજાગર કરતા દ્વારકામાં રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત દ્વારકામાં તાલુકા પંચાયત કચેરી ખાતે વિવિધ સમાજના આગેવાનો, વ્યાપારી સંગઠનો, પૂજારીઓ, કંપની તથા હોટેલ એસોસિએશન સહિતનાઓ સાથે કલેકટર શ્રી આર. એમ. તન્નાએ બેઠક યોજી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ કહ્યું હતું કે, ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુનઃઉજાગર કરવા દ્વારકામાં તા. 10એપ્રિલના રોજ રૂકમણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેમાં ભવ્ય શોભાયાત્રા પણ શહેરમાંથી નિકળશે. આ લોકોત્સવમાં વધુને વધુ જનભાગીદારી જોડાઈ તે માટે વિવિધ સમાજના આગેવાનો, વ્યાપારી સંગઠનો, કંપની, પૂજારીઓ તથા હોટેલ એસોસિએશન સાથે બેઠક યોજી સૌને આ લોકોત્સવમાં જોડાવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત કલેકટરએ શોભાયાત્રાના તમામ રૂટ મુલાકાત લઈ નાગરિકો માટે પીવાના પાણી, સ્વચ્છતા સહિતની સુવિધાઓ સહિતની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)