
હરેશ જોષી, નડિયાદ
પૂજ્ય મોરારીબાપુના કુલ કથાક્રમની ૯૫૧ મી રામકથા ૧ ફેબ્રુઆરીથી ૯ ફેબ્રુઆરી દરમિયાન નડિયાદના શ્રી સંતરામ મંદિરના તત્વાધાનમાં આરંભાઇ રહી છે.
સાડા છ દાયકાની કથા યાત્રા દરમિયાન પૂજ્ય બાપુએ નડિયાદમાં પાંચ કથા કરી છે.

પૂજ્ય બાપુએ અગાઉ જણાવેલું કે સંતરામ મંદિરે આગામી કથાનું ગાન “માનસ યોગીરાજ” શિર્ષક અંતર્ગત કરવા મનોરથ છે. પરંતુ શનિવારે સાંજે ચાર કલાકે બાપુ વ્યાસપીઠ પર બિરાજે પછી ગુરુકૃપાથી જે પ્રવાહ ચાલશે એ વિષય પર કથાગાન આરંભાશે.

નડિયાદ ખાતેની વ્યાસપીઠની આ છઠ્ઠી કથા છે.
(૧) “રામકથા”(૧૪૧)
૨૨/૧/૧૯૭૭
(૨) “રામકથા” (૨૯૭)
૬/૨/૧૯૮૪
(૩) “માનસ સંતરામ” (૬૪૮)
૨૮/૧/૨૦૦૬
(૪) “માનસ ગુરુપદ” (૭૧૪)
૫/૨/૨૦૧૧
(૫) “માનસ સેવાધર્મ” (૮૪૩)
૨/૨/૨૦૧૯
(૬) કથા ક્રમાંક – ૯૫૧
૧/૨/૨૦૨૫ થી આરંભ
નડીઆદ શહેરમાં સ્થિત એવું સંતરામ મંદિર ગુજરાતનું એક અનોખું મંદિર છે. યોગીરાજ અવધૂત પૂજ્ય સંતરામ મહારાજશ્રીનું અહીં સમાધી સ્થાન છે. ઉલ્લેખનીય વાત એ છે કે અહીં કોઈ દેવી-દેવતાની મૂર્તિઓ સ્થાપિત કરેલી નથી! અહીં એક અખંડ જ્યોતિ ઝળહળે છે. અવધૂત સંતરામ મહારાજશ્રીએ જીવંત સમાધિ લીધેલી એ વખતે પ્રગટેલી અખંડ જ્યોતના દર્શન કરીને શ્રદ્ધાળુઓ ધન્ય બને છે.
શ્રી સંતરામ મહારાજ ગિરનારથી નડિયાદ આવ્યા હતા. ભક્તો તેમને “ગિરનારી બાવા” કે “વિદેહી બાવા” ના નામથી ઓળખતા. તેમનું એક નામ “સુખ-સાગરજી મહારાજ” પણ પ્રસિદ્ધ થયું હતું.
સંવત ૧૮૭૨માં તેઓ અહીં આવ્યા. ૧૫ વર્ષ સુધી લોકોના આધ્યાત્મિક ઉત્થાન અને જન સેવા માટે તેઓ જીવ્યા અને સંવત ૧૮૮૭ના માઘ માસની પૂર્ણિમાના દિવસે જીવંત-સમાધિ લીધી.
નડિયાદ મંદિરના વર્તમાન મહંત શ્રી રામદાસજી મંદિરની ગાદી પરંપરાના નવમા મહંત છે. તેઓ સંવત ૨૦૬૦થી આ પદ પર તેઓ બિરાજમાન છે.
યોગીરાજ અવધૂત સંત શ્રી સંતરામજી મહારાજનું જીવન સૂત્ર હતું –
“માનવ સેવા એ જ પ્રભુ સેવા”.
ભાવિકોના પરસ્પર અભિવાદન માટેનો અહીંનો મંત્ર છે “જય મહારાજ”
આજે પણ મંદિર દ્વારા
અનેકવિધ સેવાકિય પ્રવૃતિઓ અવિરત ચાલી રહી છે.
ગુજરાતના મહાન ભાગવત્ કથાકાર પૂજ્ય ડોંગરેજી મહારાજે નડીઆદના સંતરામ મંદિરમાં ૮ નવેમ્બર ૧૯૯૦ને ગુરૂવારે સવારે ૯ કલાકને ૩૭ મિનિટે અંતિમ શ્વાસ લીધો હતો.
એ રીતે નડિયાદનાં સંતરામ મંદિર સાથે ડોંગરેજી બાપાના સંસ્મરણો પણ સંકળાયેલા છે.
