જામ ખંભાળિયા, તા. ૧૯-૦૩-૨૦૨૫
કલ્યાણપુરના પાદરવાડી સીમ વિસ્તારમાં રહેતા રાજશીભાઈ સાજનભાઈ ડાગર નામના 55 વર્ષના આહિર આધેડે પોતાની વાડીના શેઢામાં પાકમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
મૃતક રાજશીભાઈ lના પુત્ર લખમણભાઈની સગાઈ થતી ન હોવાથી આ અંગેની ચિંતામાં તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના પુત્ર લક્ષ્મણભાઈ રાજશીભાઈ ડાંગર (ઉ.વ. 31) એ ભાણવડ પોલીસને કરી છે.
____________________________________________________________________________
મીઠાપુરના યુવાનની બાઈક ચોરાઈ
ઓખા મંડળના મીઠાપુર ખાતે રહેતા ઈસ્માઈલભાઈ મામદભાઈ માકોડા નામના 45 વર્ષના મુસ્લિમ યુવાનની રૂપિયા 25,000 ની કિંમતની મોટરસાયકલ કોઈ તસ્કરો કલ્યાણપુર તાલુકાના ગાગા ગુરગઢ ગામેથી ચોરી કરીને લઈ ગયા હોવાને ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.
____________________________________________________________________________
બરડીયા ગામેથી પીધેલો રિક્ષા ચાલક ઝડપાયો
દ્વારકા નજીકના બરડીયા ગામે આવેલા એક મંદિર પાસેથી પોલીસે ગામના ડુંગરભા હઠીયાભા માણેક નામના 35 વર્ષના શખ્સને રૂપિયા એક લાખની કિંમતના મેક્સિમા રીક્ષા ચાલકને કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવતા ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)