માતૃશરીર એ દૈવી વિભૂતિઓનું કેન્દ્ર છે: ભગવદ્ ગીતાના સંદર્ભ સાથે નારીશક્તિનું મહિમાગાન કરતા મોરારિબાપુ
ધ ગ્રેટ વર્લ્ડ, બગસરા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બગસરાની પવિત્ર ધરા પર માતૃશક્તિના વંદનનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં પ્રસિદ્ધ રામાયણી મોરારિબાપુના વરદહસ્તે વિવિધ ક્ષેત્રે પ્રતિભા ધરાવતી પાંચ નારીરત્નોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે બાપુએ નારીશક્તિને વંદન કરતા અત્યંત ગહન અને પ્રેરક ઉદબોધન આપ્યું હતું.
માતૃશક્તિમાં ભગવાનની સાત વિભૂતિઓ
કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મોરારિબાપુએ શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉલ્લેખ કરી માતૃશક્તિની દૈવી ક્ષમતાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે, ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં કહ્યું છે તેમ માતૃશરીરમાં કીર્તિ, શ્રી (લક્ષ્મી), વાક્ (વાણી), સ્મૃતિ, મેધા, ધીરજ અને ક્ષમા – આ સાત વિભૂતિઓ રૂપે સાક્ષાત્ ભગવાનનો વાસ રહેલો છે. બાપુએ ઉમેર્યું કે સ્ત્રી એ માત્ર વ્યક્તિ નથી, પરંતુ શક્તિ, શાંતિ અને ક્ષમાનું જીવંત સ્વરૂપ છે. માતૃવંદના એ જ સાચી ઈશ્વર ભક્તિ છે.
સન્માનિત નારીરત્નો
બાળ કેળવણી મંદિર, બગસરા અને જ્યોતિ મહિલા વિકાસ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજમાં ઉત્કૃષ્ટ પ્રદાન આપનાર પાંચ મહિલાઓને નવાજવામાં આવી હતી. જેમાં ‘લીલાબેન શાહ શ્રેષ્ઠ મહિલા કાર્યકર સન્માન’ ભારતીબેન શાંતિલાલભાઈ ધાંધિયા અને ભાવિકાબેન દર્શનભાઈ હિરપરાને એનાયત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ‘જ્યોતિ નારી રત્ન સન્માન’ થી બગસરાના ભાવનાબેન વજુભાઈ સતાસીયા, નવી હળીયાદના વર્ષાબેન ભાવેશભાઈ રૈયાણી અને બગસરાના જીજ્ઞાબેન દિપકભાઈ ભટ્ટીને સન્માનિત કરાયા હતા.
સંસ્થાની પ્રવૃત્તિઓ અને મહાનુભાવોના મંતવ્યો
મોરારિબાપુએ આ પ્રસંગે લાલચંદબાપા અને શ્યામજી બાપાનું પુણ્ય સ્મરણ કર્યું હતું. તેમણે સંસ્થામાં થઈ રહેલા ‘વિશ્રામદાયી વિકાસ’ પ્રત્યે ઊંડો સંતોષ વ્યક્ત કરી આશીર્વાદ પાઠવ્યા હતા. લોકભારતી સણોસરાના વડા અને લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેએ પણ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વૈશ્વિક શાંતિ માટે માતા દ્વારા અપાતી બાળ કેળવણી અને સંસ્કારો પાયાની જરૂરિયાત છે. તેમણે સામાજિક ચેતના માટે સંવેદનાની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો.
સંસ્થાના દેવચંદભાઈ સાવલિયાએ પ્રારંભિક પ્રવચનમાં વર્તમાન સમયમાં તૂટતા જતા પારિવારિક સંબંધો અને તેના કારણે ઉદભવતા સામાજિક દૂષણો પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે માતૃશક્તિનું સન્માન એ પરિવાર અને સમાજને જોડવાનું મહત્વનું પગલું છે. ચેતનભાઈ શાહે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓનો ચિતાર આપી તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
સાંસ્કૃતિક રંગ અને મહાનુભાવોની હાજરી
કાર્યક્રમની શરૂઆત શિશુકુંજની બાળાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સુંદર સ્વાગત નૃત્યથી થઈ હતી. આ પ્રસંગે હિંમતભાઈ ગોડા, જ્યોત્સનાબેન રીબડિયા, બ્રહ્માકુમારી રસિલાબેનજી, અર્ચનાબેન દવે, નિરૂપમાબેન વૈષ્ણવ, કાંતિભાઈ પરસાણા તેમજ પ્રવિણભાઈ ઠક્કર સહિતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દયાબેન ગેડિયાએ કર્યું હતું, જ્યારે જયશ્રીબેન સાવલિયા અને સંસ્થાના પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. બગસરાની જનતાએ મોટી સંખ્યામાં ઉમટી પડી આ નારીશક્તિ પર્વને વધાવ્યું હતું.
