- 63 દબાણો દૂર કરી, 13,490 ચોરસ મીટરના દબાણ દૂર થયા
- છ દિવસમાં રૂપિયા 1.14 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી થઈ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૬-૦૧-૨૦૨૫
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ વિસ્તારમાં ગત તારીખ 11 મી થી શરૂ થયેલું ઓપરેશન ડિમોલિશન આજરોજ ગુરુવારે છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું છે. છેલ્લા સતત છ દિવસથી જે.સી.બી., હિટાચી મશીનોને ધણધણાટીએ બેટ દ્વારકા અને ઓખા વિસ્તારને ધમધમાવ્યું છે. જિલ્લા પ્રશાસન દ્વારા છ દિવસમાં કુલ રૂપિયા 59.11 કરોડની કિંમતની 1.14 લાખ ચોરસ મીટર જમીન પરના દબાણોને હટાવવામાં આવ્યા છે.
પશ્ચિમી વિસ્તારના છેવાડાના એવા બેટ દ્વારકા વિસ્તારમાં વધતા જતા જમીન અતિક્રમણના મુદ્દે દ્વારકાના પ્રાંત અધિકારી તેમજ જિલ્લા પોલીસ વડાની ટીમો દ્વારા સરવે અને નોટિસોની ધોરણસરની કાર્યવાહી બાદ શનિવારથી ઓપરેશન ડિમોલિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજરોજ ગુરુવારે છઠ્ઠા દિવસે પણ અવિરત રીતે બેટ દ્વારકામાં દબાણ હટાવની કામગીરી કરવામાં આવી હતી બેટના તુર્કીસાની સામે આવેલા ભીમસાર વિસ્તારમાં આજરોજ તંત્રની આ કામગીરી જોવા મળી હતી. બપોરથી સાંજ સુધીમાં અહીં રહેલા 62 રહેણાંક અને 1 અન્ય મળીને કુલ 63 નાના-મોટા દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હતા. આજની કાર્યવાહીમાં તંત્ર દ્વારા રૂ. 6.07 કરોડની કિંમતની 13,490 ચોરસ મીટર સરકારી જમીન પરના દબાણ હટાવવામાં આવ્યા છે.
આમ, ગત તારીખ 11 થી આજરોજ તારીખ 16 સુધીમાં 376 રહેણાંક, 13 અન્ય તેમજ 9 કોમર્શિયલ મળી, કુલ 398 ગેરકાયદેસર બાંધકામને દૂર કરી, તંત્ર દ્વારા કુલ 1,14,132 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી છે. જેની કુલ બજાર કિંમત રૂપિયા 59.11 કરોડ ગણવામાં આવી છે.
ભારે ચર્ચાસ્પદ બની ગયેલા આ દબાણને દૂર કરવાની કામગીરી એકંદરે શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામ્યો નથી.
- કરોડો રૂપિયાની જમીન ખુલ્લી: ઠેર ઠેર કોંક્રિટના ઢગલા – દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આવટે, જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ઓખાના ચીફ ઓફિસર શુક્લા, ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ વિગેરેની આગેવાનીમાં શનિવારથી શરૂ થયેલું આ ડિમોલીશન આજે છઠ્ઠા દિવસમાં પ્રવેશ્યું છે. તેમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઓપરેશન ડિમોલીશનના પગલે બેટ દ્વારકા વિસ્તારમાં કુલ રૂપિયા 59 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. અને અહીં તોડફોડ બાદ ઠેર ઠેર કોંક્રિટના ઢગલાઓ જોવા મળી રહ્યા છે.
- જનજીવન પુનઃ ધબકતું થયું – પશ્ચિમી સરહદી વિસ્તારના દરિયાકાંઠાના બેટ દ્વારકા વિસ્તારનો સંવેદનશીલ ભાગ આંતરરાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો હોય, અહીં આવતા પ્રવાસીઓની સુરક્ષા માટે હાલની કામગીરી દરમિયાન સુદર્શન સેતુ તેમજ બજારો બંધ રાખવામાં આવી હતી. પરંતુ ગઈકાલથી જ બેટ દ્વારકા મંદિર, હનુમાન દાંડી, 84 ધુણા, વિગેરે ધર્મ સ્થળો યાત્રિકો માટે ખુલ્લા મુકી દેવામાં આવ્યા છે. ત્યારે સુદર્શન સેતુ સાથે બેટ દ્વારકા વિસ્તાર પુનઃ ધમધમતો થયો છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહીં આવી રહ્યા છે અને પરિસ્થિતિ નિહાળી રહ્યા છે.
(ફોટો:- કુંજન રાડિયા)







