
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫
ગુજરાત સરકાર માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા દ્રષ્ટિહીન, આર્થિક રીતે નબળા અને મનો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફી સંપૂર્ણ માફ અથવા વિશેષ રાહત આપવામાં આવે છે. આ પહેલ સંગીતપ્રેમી વિદ્યાર્થીઓ માટે અવરોધમુક્ત શિક્ષણનો માર્ગ મોકળો કરશે અને ભારતીય શાસ્ત્રીય સંગીતની સુગંધ સમગ્ર સમાજમાં પ્રસરે તેવા ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી છે. સાથે વિદ્યાપીઠ દ્વારા સમયાંતરે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સંગીત નિ:શુલ્ક તાલીમના પણ આયોજન કરવામાં આવે છે.
આ બાબતોને ધ્યાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠની આ લોકહિતકારી પહેલને શુભકામનાઓ પાઠવવામાં આવી છે. જે સંગીત અને સંસ્કૃતિ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
સરકાર માન્ય ભાટીયાની આ વિદ્યાપીઠ કે જે શાસ્ત્રીય સંગીતના જતન અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે, તેના દ્વારા મુખ્યમંત્રી અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)