
જામ ખંભાળિયા, તા. ૧૯-૦૨-૨૦૨૫
ભાણવડના ત્રિવેણી નદી કાંઠે રાણપરડા પાટિયા નજીક એક વાડીમાં રાત્રીના સમયે એક મગરનું ત્રણ ફૂટ જેટલું નાનું બચ્ચું આવી જતા તે જોઈ વાડી માલિક ખૂબ અચંબિત થઈ ગયા હોય. આ પછી તેઓએ ભાણવડના પશુ સંરક્ષક અશોકભાઈ ભટ્ટને જાણ કરતા તુરંત સ્થળ પર એનિમલ લવર્સના રેસક્યુઅર અને વન વિભાગના કર્મચારીઓ પહોંચી જઈ આ બાળ મગરને રેસ્ક્યુ કરાયું હતું.
આ સ્થળે રહેલા આ મગરના બચ્ચાને નજીકની નદીમાં તેના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી, વધુ એક અબોલ જીવનો જીવ બચાવી રેસ્ક્યુ કાર્ય કરાયું હતું. આ સેવા કાર્યમાં એનિમલ લવર્સના રેસક્યુઅર અશોકભાઈ ભટ્ટ, વિશાલ ભરવાડ અને વન વિભાગના મુકુંદભાઈ સોઢા, રામદેભાઈ કોટા અને અરજણભાઈ કરીર જોડાયા હતા.
આ રેસ્ક્યુ ઓપરેશન જોવા માટે ઉપસ્થિત રહેલા સ્થાનિકોને આવા દરેક સરીસૃપ જીવો આપણા દુશ્મન નહિ, પણ પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપયોગી છે, જેથી એને ક્યારેય મારવા નહિ તેમજ આજુ- બાજુમાં જોવા મળે તો વન વિભાગ કે એનિમલ લવર્સ ગ્રુપના સભ્યોનો સંપર્ક કરવા અપીલ પણ કરવામાં આવી હતી.


(ફોટો:- કુંજન રાડિયા)