Headlines

ભાણવડમાં બે મિત્રોને ગાળો ભાંડી, મારી નાખવાને ધમકી સબબ ફરિયાદ

જામ ખંભાળિયા, તા. ૧૮-૦૧-૨૦૨૬

ખંભાળિયા નજીક બાઈક અકસ્માતમાં પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ

     ખંભાળિયા – લાલપુર હાઈવે પર અત્રેથી આશરે પાંચ કિલોમીટર દૂર એક મંદિર પાસેથી જી.જે. 10 બી.ક્યુ. 6708 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર બેસીને જઈ રહેલા મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના માનવર તાલુકાના રહીશ એવા સરવનભાઈ ભગવાનભાઈ ડાવર નામના 38 વર્ષના યુવાને પોતાનું મોટરસાયકલ પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક ચલાવતા આ મોટરસાયકલ સ્લીપ થઈ જવા પામ્યું હતું. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ઈજાઓ થતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

     આ બનાવ અંગે મૃતકના બનેવી પપ્પુભાઈ ભાવસેતા શેમલા (ઉ.વ. 38, રહે. મૂળ મધ્યપ્રદેશ, હાલ ખંભાળિયા) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મૃતક બાઈક ચાલક સરવનભાઈ ડાવર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

_____________________________________________________________________________

   ભાણવડમાં ભૂતવડ રોડ વિસ્તારમાં રહેતા રહીમભાઈ સમસુદ્દીનભાઈ ભાણવડીયા નામના 48 વર્ષના યુવાન શુક્રવારે રાત્રીના સમયે તેમના મિત્ર ઈમરાનભાઈ સાથે વેરાડ નાકા પાસે જમતા હતા, ત્યારે આ સ્થળે આવેલા દિલીપ ઉર્ફે ડાકુ વાઘેલા અને જયદીપ વાઘેલા નામના બે શખ્સોએ કોઈ બાબતે બોલાચાલી કરી, ઇમરાનને બિભત્સ ગાળો ભાંડી હતી. તેને ના કહેતા આરોપીઓએ રહીમને પણ ઢીકાપાટુનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે બંને શખ્સો સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી કરી હતી.

_____________________________________________________________________________

દ્વારકામાં બે માછીમારો સામે કાર્યવાહી

      દ્વારકાના રૂપેણબંદર વિસ્તારમાં શેખ અરફત અસમત નામના માછીમારે પોતાની ફિશિંગ બોટમાં લાઈટ ફિશિંગ કરીને પરત આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો. અન્ય એક કાર્યવાહીમાં અશરફ અલારખા ભેસલીયા નામના માછીમારે ઓનલાઇન ટોકન મેળવ્યા વગર દરિયામાં માછીમારી કરતાં પોલીસે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.

_____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *