Friday June 20, 2025

ભાણવડમાં રૂ. પોણા ચાર કરોડના ખર્ચે સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત

જામ ખંભાળિયા, તા. ૨૩-૦૩-૨૦૨૫

       ભાણવડમાં દરબારગઢ ખાતે રૂ. 3.78 કરોડના ખર્ચે નિર્માણ થનાર સરકારી તાલુકા પુસ્તકાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હાલમાં ભાણવડમાં સરકારી તાલુકા પુસ્તકાલયનું તાલુકા સેવા સદન ખાતે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

      અહીંના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે ખાત મુહૂર્ત બાદ તેમણે જણાવ્યું હતું કે ભાણવડ તાલુકામાં અંદાજિત રૂ. 78 લાખથી વધુ રકમના ત્રણ આરોગ્ય આયુષ્માન મંદિર લોકાર્પણ થતા ગ્રામ્ય વિસ્તારોમાં જ નાગરિકોને આરોગ્યની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. ઉપરાંત યુવાનો ઉજ્જવળ કારકિર્દી માટે જો કોઈ પાયાનું માધ્યમ હોય તો તે પુસ્તકો છે. સારા પુસ્તકોએ જીવનને ઉન્નતિ તરફ લઈ જવા માટે પથદર્શકનું કાર્ય કરે છે. ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તૈયાર કરતા યુવાઓ માટે ગ્રંથાલય આર્શીવાદ સમાન બની રહેશે. તાલુકા કક્ષાના પુસ્તકાલયમાં ઉત્તમ પ્રકારની સુવિધાઓ ઉપરાંત બહોળી સંખ્યામાં પુસ્તકો વાંચન માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. 

        આ તકે કલેકટર આર.એમ. તન્નાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે પર ભાર મૂકવામાં આવ્યો છે. નાગરિકોને પાયાનું શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ મળે તે સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ભાણવડ ખાતે સરકારી પુસ્તકાલયનું ખાતમુહૂર્ત થતા તાલુકાના યુવાનોના જ્ઞાનમાં વધારો થશે. પુસ્તકાલયોએ માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. યુવાનો, બાળકો તથા જ્ઞાનપીપાસુ લોકો માટે પુસ્તકાલય ખૂબ જ ઉપયોગી નીવડશે. પુસ્તકાલય ઉત્તમ સુવિધા પ્રાપ્ત થઈ રહી છે ત્યારે તેની જાળવણી કરવી એ પણ આપણી નૈતિક ફરજ છે.

      ભાણવડ તાલુકા સરકારી પુસ્તકાલયમાં ભવનમાં વાંચનાલય વિભાગ, મહિલા વિભાગ, પુસ્તક આપ-લે વિભાગ, કેન્ટિન, બાળ વિભાગ સાથે વિવિધ વિષયો અને ભાષાના પુસ્તકો તથા સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી માટેના ખાસ પુસ્તકોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top