જામ ખંભાળિયા, તા. ૧૭-૦૪-૨૦૨૫
કલ્યાણપુર તાલુકાના ભોપાલકા ગામે રહેતા દેવરામભાઈ વાલાભાઈ સોનગરા નામના આશરે 60 વર્ષના સતવારા વૃદ્ધની ગત તા. 15 ના રોજ લાકડીના ઘા મારી, ઘાતકી હત્યા નીપજાવવા બદલ મૃતકના પુત્ર દ્વારા આ જ વિસ્તારમાં રહેતા રમેશભાઈ દામજીભાઈ રાઠોડ, સામુબેન રમેશભાઈ રાઠોડ, જયસુખ ટપુભાઈ રાઠોડ અને રમીલાબેન જયસુખ રાઠોડ સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી.
મૃતક દેવરામભાઈએ ભાગમાં રાખેલા ખેતરમાં આવેલા જીરૂના પાકમાં આરોપીઓએ દવા છાંટી દેતા જીરૂનો પાક બળી ગયો હોવા અંગેની શંકા તેમજ ખાર દેવરામભાઈ દ્વારા રાખવામાં આવતા આરોપીઓએ તેમને બોથડ પદાર્થ મારી અને હત્યા નિપજાવી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું હતું. આ પ્રકરણ સંદર્ભે દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુરના ઈન્ચાર્જ પી.આઈ. યુ.બી. અખેડ તેમજ તેમની ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરી અને ઉપરોક્ત તમામ ચાર આરોપીઓની અટકાયત લેવામાં આવી હતી.
ઝડપાયેલા આરોપીઓને સ્થાનિક કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર અદાલતે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
____________________________________________________________________________
(કુંજન રાડિયા)