કુંજન રાડિયા, મીઠાપુર
ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં આવેલી ટાટા ટાઉનશીપ ખાતે રહેતા નરેશભાઈ હિંમતલાલ બાડમેરા નામના 59 વર્ષના સોની આધેડને પોતાની પુત્રીના અભ્યાસ માટે પૈસાની જરૂરત હોવાથી આરંભડા વિસ્તારમાં રહેતા જયવીરસિંહ દીપસિંહ વાઢેર અને દીપસિંહ વાઢેર પાસેથી ટુકડે ટુકડે રૂપિયા સાડા સાત લાખની રકમ ત્રણ ટકાના વ્યાજદરથી લીધી હતી. જેની સામે ફરિયાદી નરેશભાઈ સોનીએ આરોપીઓને ચેક આપ્યા હતા. આ રીતે જુલાઈ 2021 દરમિયાન વ્યાજે લીધેલી રકમનું પ્રતિમાસ રૂ. 24,000 વ્યાજ તેઓ ચૂકવતા હતા.
ફરીયાદી દ્વારા વ્યાજ પેટે આરોપીને રૂપિયા 6.80 લાખની રકમ આપવામાં આવી હતી. પરંતુ છેલ્લા બે-ત્રણ મહિનાથી તેઓ કોઈ કારણોસર વ્યાજના પૈસા આપી ન શકતા બંને આરોપીઓએ નરેશભાઈને બિભત્સ ગાળો કાઢી, ધાક ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે સંદર્ભે પોલીસે બી.એન.એસ. તેમજ ગુજરાત નાણા અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત દ્વારા હાથ ધરવામાં આવી છે.