જામ ખંભાળિયા, તા. ૦૯-૦૩-૨૦૨૬
યાત્રાધામ દ્વારકામાં કકળાશ કુંડ પાસે આવેલ શ્રી રાંદલ માતાજીના મંદિરે યોજાયેલા ભવ્ય વૈશ્વિક રાંદલ મહોત્સવમાં ભક્તિનો વિરાટ અને અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અનોખા પ્રસંગે 1000થી વધુ કુમારીકાઓએ રાંદલ માતાજીનું સ્વરૂપ ધારણ કરી ભક્તોને દિવ્ય દર્શન આપ્યા હતા. આ આધ્યાત્મિક અને અલૌકિક દ્રશ્યે હજારો ભક્તોના હૃદયને ભાવવિભોર કરી દીધા હતા. આ વિશિષ્ટ આયોજનની વિશ્વ કક્ષાએ નોંધ લેવાયેલ હતી.
ઉત્સવ દરમિયાન સવારે આશરે 3,500 જેટલી કુમારીકા માટે પ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 300 જેટલા રાંદલ માતાજીના લોટા તેડવામાં આવ્યા હતા. સમગ્ર દ્વારકા ધામ ભક્તિમય વાતાવરણમાં રંગાયું હતું.
આ પ્રસંગે દડવાથી રાંદલ માતાજીના પુજારી દર્શન મહારાજ, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક તથા અનેક આગેવાનો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભવ્ય મહા આરતી અને માતાજીના અદભુત દર્શનથી તમામ ભક્તો ભાવવિભોર બન્યા હતા.
આ દિવ્ય મહા ઉત્સવને સફળ બનાવવા માટે અનેક ભક્તો, સેવાભાવી વ્યક્તિઓ અને નગરજનોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો. આવી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓને વધુ ભવ્યતા મળે અને ભવિષ્યમાં પણ આ સેવા યથાવત્ રહે તે માટે અનેક ભક્તો પોતાની શ્રદ્ધા અને ભાવથી સહભાગી બની રહ્યા છે. જે કોઈ ભાવિક ભક્તો આ પવિત્ર સેવાયજ્ઞમાં પોતાની આર્થિક સહયોગ અર્પણ કરવા ઈચ્છે તેઓ વધુ માહિતી માટે 9974255262 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.



(ફોટો:- કુંજન રાડિયા)
