Saturday June 21, 2025

લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો દીક્ષાંત- શુભેચ્છા કાર્યક્રમ સમ્પન્ન

મૂકેશ પંડિત, સણોસરા

લોકભારતી અધ્યાપન મંદિર સણોસરામાં દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓનો દીક્ષાંત- શુભેચ્છા કાર્યક્રમ ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીના અધ્યક્ષ પદે યોજાયો. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અરુણભાઈ દવે, લોકભારતી યુનિવર્સિટીના કુલપતિ શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણી, ટ્રસ્ટી શ્રી રામચંદ્રભાઇ પંચોળી, નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિ સહિતના વિવિધ વિભાગના વિભાગીય હોદ્દેદારો હાજર રહ્યા હતા.
આચાર્યશ્રી જગદીગિરિ ગોસાઈએ કાર્યક્રમની આવકાર ભૂમિકા રજૂ કરી હતી. બંને વર્ષના તાલીમાર્થીઓ રામાવત નીરજભાઈ, ઉદાર સુરજભાઈ, પરમાર પ્રિયાબા અને જાની યશસ્વીબેને કાર્યક્રમને અનુરૂપ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. અહીંના પ્રશિક્ષણનો સમાજમાં જઈને યોગ્ય ઉપયોગ કરશે તેવી લાગણી વ્યક્ત કરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પટેલ સાહેબે પ્રાસંગિક વાતમાં સાંપ્રત સમયમાં શિક્ષકના સ્થાન વિશે સરસ સમજ આપી હતી. તેમણે મહાપુરૂષોના વાક્યો અને અન્ય દ્રષ્ટાંતો વડે તાલીમાર્થીઓને શિક્ષણના ક્ષેત્રમાં અથાક પરિશ્રમથી પોતાની જાતને ઉંચે લઈ જવાની, આજીવન વિદ્યાર્થી બનીને સતત કંઈક નવું શીખતા રહેવાની તેમજ પોતાની પાસે આવતા વિદ્યાર્થીને બરાબર પારખવાની સમજ કેળવાય તેવી માર્મિક વાત કરી હતી. રામચંદ્રભાઇ અને અરૂણભાઇએ વર્ષભર વિદ્યાર્થીઓએ કરેલી કામગીરીની નોંધ લઈ તેઓ સારા શિક્ષક બને તેવી શુભેચ્છા આપી હતી. સમગ્ર વર્ષમાં યોજાતા કાર્યક્રમમાં પ્રવૃત્તિઓમા તાલીમાર્થી સહભાગી બને છે તે તેમના માટે કાયમી સંભારણું બની રહે તે આશયથી દર વર્ષે સ્મરણમ મધૂરમ અંક બહાર પાડવામાં આવે છે. આ ઉપક્રમ શ્રી કવિતાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યો હતો. અંક તૈયાર કરવામાં મદદરૂપ થનાર તાલીમાર્થીઓનો આભાર વ્યક્ત કરીને ચાલુ વર્ષના અંકનું વિમોચન કરવામાં આવ્યુ.
કાર્યક્રમનું સંચાલન તાલીમાર્થી ભાર્ગવીબા ગોહિલ અને આભારવિધિ શ્રી અજયભાઈ પંડ્યાએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top