સમગ્ર ગુરુઆશ્રમ પરિસર તેમજ ચારે બાજુઓના માર્ગોને વીજળીથી ઝળહળા કરવામાં આવ્યા
હરેશ જોષી, કુંઢેલી
આગામી તા. 17 ને શુક્રવારના રોજ બગદાણાના બંડીધારી સદગુરુ સંતશ્રી બજરંગદાસબાપાનો 48મો પુણયતિથી મહોત્સવ ઉજવાશે. ત્યારે બગદાણા ખાતે સંપૂર્ણ તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. અલગ અલગ વિભાગો જેવા કે રસોડું, ભોજનશાળા,ચા પાણી, દર્શન, પાર્કિંગ સહિતના કામમાં સ્વયંસેવકો દિન રાત સેવા આપી રહ્યા છે. આ દિવસના મહોત્સવમાં બગદાણા ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ-ભાવિકો સામેલ થશે.
બગદાણા પહોંચતા ચારેય તરફના માર્ગો, મુખ્ય ગેટ તેમજ સમગ્ર આશ્રમ પરિસરના તમામ દેવાલયો સહિતના પરિસરને વીજળીના ગોળાઓથી, ઝગમગ દીવડાઓથી શણગારવામાં આવ્યું છે. રાત્રિના સમયે આખું પરિસર વીજળીથી ઝળહળા થઈ રહ્યું છે … લોકોમાં શ્રદ્ધાળુઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ છવાયો છે. આગામી પોષ વદ ચોથના રોજ પૂજ્ય બાપાની 48મી મહા પરીનિર્વાણતિથિ નિમિત્તે અહીં આગોતરા આયોજનના ભાગરૂપે તમામ તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
પ્રતિ વર્ષ ચોથના રોજ બાપાની પુણ્યતિથિ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં ચાલુ સાલે શરૂ કરવામાં આવેલા રાત્રિ સમયના લાઇટિંગ સહિતના શણગારો સમગ્ર પરિસરની શોભામાં ઔર વધારો કરી રહ્યા છે.






