સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ અને પોરબંદરનું ગૌરવશાળી યોગદાન
ઇતિહાસકાર શ્રી નરોતમભાઈ પલાણે વર્ણવી સોમનાથના ઇતિહાસમાં પોરબંદરની ભૂમિકા
૦૦૦
મંદિરના નવ નિર્માંણ હેતુ તે સમયે પોરબંદરના શેઠશ્રી નાનજી કાલિદાસએ આપ્યુ હતુ રૂ. એક લાખનુ પ્રથમ યોગદાન
૦૦૦
ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર.તા.૮
ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજ તા. ૦૮ જાન્યુઆરીથી ૧૧ જાન્યુઆરી સુધી “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. આ ઉજવણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા સોમનાથના આંગણે પધારી રહ્યા છે, ત્યારે પોરબંદરના જાણીતા ઇતિહાસવિદ્દ શ્રી નરોતમભાઈ પલાણે આ ગૌરવશાળી ઇતિહાસના પૃષ્ઠો ખોલીને પોરબંદરના અપ્રતિમ યોગદાનના સંસ્મરણો વાગોળ્યા છે.
પ્રખ્યાત ઈતિહાસવિદ્દ શ્રી નરોતમભાઈ પલાણે જણાવ્યું હતું કે, જાન્યુઆરી ૧૦૨૬માં મહેમુદ ગઝનવી દ્વારા સોમનાથ મંદિર પર આક્રમણ કરવામાં આવ્યું હતુ. આ ઘટનાને જાન્યુઆરી ૨૦૨૬માં બરાબર ૧૦૦૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ઇતિહાસકારો આ તારીખ ૬ જાન્યુઆરી હોવાનું જણાવે છે.
તેમણે ઉમેર્યું કે, સોમનાથનું પ્રથમ મંદિર લગભગ ૨૦૦૦ વર્ષ જૂનું છે. શરૂઆતના ૧૦૦૦ વર્ષ સુધી આ મંદિર અત્યંત સમૃદ્ધ અને અતૂટ રહ્યું હતું, જેની ખ્યાતિ સાંભળીને ગઝનવીએ તેના પર આક્રમણ કર્યું હતું. જોકે, સોમનાથએ પ્રજાના સ્વાભિમાનનું પ્રતીક છે. દર વખતે મંદિર તોડવામાં આવ્યું ત્યારે પ્રજા અને રાજાઓએ મળીને તેને ફરીથી બેઠું કર્યું છે. વર્તમાન મંદિર એ આઠમી વખતનું પુનઃનિર્માણ છે.
સૌરાષ્ટ્રના તત્કાલીન મુખ્યમંત્રી ઉછરંગરાય ઢેબરે ફાળો એકત્ર કરવાની અપીલ કરી હતી. શ્રી નરોતમભાઈ પલાણે ગર્વ સાથે નોંધ્યું કે, સોમનાથ મંદિરના નવનિર્માણ માટે પ્રથમ ફાળો નોંધાવનાર પોરબંદર હતું.
પોરબંદરના ખ્યાતનામ શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતાએ તે જમાનામાં ૧ લાખ રૂપિયાનું પ્રથમ દાન મંદિર નિર્માણનો આપ્યું હતું. તેમજ તેમણે વધુ જરૂર પડે તો વધુ દાન આપવાની પણ ખાતરી આપી હતી.
તેમણે અંતમાં જણાવ્યું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સનાતન ધર્મની દ્રઢતા અને વિજયનો જયઘોષ છે. પોરબંદર હંમેશા આ પવિત્ર કાર્યમાં અગ્રેસર રહ્યું છે, જે દરેક પોરબંદરવાસી માટે ગૌરવની બાબત છે.
