
– કેબિનેટ મંત્રી મુળુભાઈએ વૃક્ષારોપણ કરીને પોતાના જન્મદિવસની કરી ઉજવણી –
Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫
ખંભાળિયાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના 60 મા જન્મદિવસ નિમિતે “ષષ્ટિપૂર્તિ વન-ઉત્સવ”ના વિશિષ્ટ હરણફાળ અભિયાનનો પ્રારંભ ખંભાળિયાના હર્ષદપુર ખાતે કરવામાં આવ્યો હતો.
મંત્રી મુળુભાઈએ રવિવારે પોતાના જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કરી પ્રકૃતિના સંરક્ષણમાં યોગદાન આપવા માટે તમામ નાગરિકોને હાકલ કરી હતી. કેબિનેટ મંત્રીએ જન્મ દિવસે પ્રારંભ થયેલી ઉમદા પહેલ માત્ર એક ઉજવણી પૂરતું સીમિત ન રહે, પરંતુ 60 હજાર વૃક્ષોનું વાવેતર કરવાની એક મહત્ત્વાકાંક્ષી હરિયાળી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રકૃતિ માટે સમર્પિત આ અભિયાનનો આરંભ “60 વર્ષ 60 વૃક્ષ” થી કરવામાં આવ્યો છે. આ ઉમદા અભિયાન હેઠળ લોકોને જોડીને 60 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. આ અભિયાન પર્યાવરણ અને પ્રકૃતિના સંવર્ધન માટે સામાન્ય નાગરિકો, સામાજિક સંસ્થાઓ અને યુવાનોની ભાગીદારી પર કેન્દ્રિત એક જનઆંદોલન બની રહેશે. આ અભિયાનનો મુખ્ય હેતુ સમગ્ર રાજ્યને હરિયાળું બનાવવાનો છે.
આ કાર્યક્રમ દ્વારા એક હરિત સંકલ્પ લેનાર દરેક નાગરિક, સંસ્થા અને યુવાન માટે એક અનોખો અવસર બની રહેશે અને તેઓ પર્યાવરણના રક્ષણ માટે પોતાનું યોગદાન આપી શકશે. આ કાર્યક્રમમાં સી.સી.એફ. મનીષ્વર રાજા, સી.એફ. સેંથિલકુમાર, આર. ધનપાલ, નાયબ વન સંરક્ષક અરુણકુમાર, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, એભાભાઈ કરમુર, રસિકભાઈ નકુમ, સગાભાઈ રાવલીયા સહિત વન વિભાગ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહીને આ ઉમદા અભિયાનમાં જોડાવવાનો સંકલ્પ લીધો હતો.




(ફોટો:- કુંજન રાડિયા)