– નારન બારૈયા
આવી યોજનાઓ બંધ કરીને ખેડૂતને આત્મનિર્ભર કે સ્વનિર્ભર બનાવશે સરકાર?
પોષણક્ષમ ભાવની જરૂર શું છે? અને બીજા સરકારી લાભોની જરૂર શું છે? ખેડૂતે પોતે જ આત્મનિર્ભ રહેવાની જરૂર છે. વસ્તુના ભાવ એ તો ડિમાન્ડ એન્ડ સપ્લાય પર આધારિત વધતી-ઘટતી બાબત છે. ખેડૂતો વાત વાતમાં ટેકાના ભાવ, પોષણક્ષમ ભાવ વગેરે અનેક અનેક જાતના ટેકાની માંગણીઓ કર્યા કરે છે. પણ ખેડૂત એ વાત ભૂલી જાય છે કે કિસાન એ જગતનો તાત છે એમ કહેવાય છે પણ આ રીતે બિચારો બની બનીને માંગ્યા જ કરે માંગ્યા જ કરે તો તે બાપ નહીં ભિખારી ગણાય. એક કિસાન પુત્ર તરીકે પણ મારું આ માનવું છે.
તમે યાદ કરો “માનવીની ભવાઈ” નવલકથા, લેખક પન્નાલાલ પટેલ. દુષ્કાળ પડ્યો છે. એક શેઠિયો ખેડૂતોને રેશન અપાતું હોય એમ અનાજ દાન કરી રહ્યો છે. ખેડૂતોના પેટમાં ભૂખ જગમગારા લઈ રહી છે. કથાનો નાયક પણ ત્યાં ગયો છે પણ તે જુએ છે કે શેઠીયા ની વ્યવસ્થા પ્રમાણે બધાને લાઇનમાં ઊભા રહેવાનું છે. કથાનો નાયક પેટમાં જગમગારા લઈ રહેલી ભૂખને પણ અવગણીને કહી દે છે- “ખેડૂનો દીકરો છું ને એટલે લાઈનમાં ઊભો નહીં રહું…”
ખેડૂતોની આ ખુમારી ક્યાં ગઈ???
અમસ્તો યે ખેડૂતો પાસેથી કોઈ ટેક્સ લેવામાં આવતો નથી તો પછી વિવિધ પ્રકારની દયાના ભાવથી આપવામાં આવતી મદદો સાથે સેક્સ શા માટે કરે છે? ખેડૂતોમાં જો સંપ અને વિજ્ઞાન બુદ્ધિ તથા કોમર્સ બુદ્ધિ હોય તો ખેડૂતોએ આવા ભિખારી દેખાય તેવા વિવિધ માંગણીના આયોજનો અને આંદોલનો કરવાની જરૂર નથી. સરકાર પોતે જ ભિખારીની માફક ખેડૂતો પાસે કશુક માંગવી જોઈએ.
પેલી ફલાણી ઢીંકણી યોજનામાં દર ચાર મહિને સરકાર દયા કરતી હોય તે રીતે ખેડૂતોને બે હજાર રૂપિયા શા માટે આપી જવી જોઈએ? સ્વમાનભેર ઇનકાર કરો. નથી જોઈતા તમે દયાથી આપેલા એ રૂપિયા? પણ કશુક એવું કરો કે તમે વાવેલો પાક લોકો અથવા સરકાર તમારી પાસેથી સામેથી જ લઈ જાય અને કાકા કહીને રૂપિયા આપે. શું એવું બની શકે? હા એવું બની શકે. સરકારે અને લોકોએ આવવું પડે તમારી પાસે. પણ એવું ત્યારે બની શકે કે જ્યારે તમે કશુંક એવું વાવો કે જેની લોકોને સખત જરૂર છે. બાકી ગામ આખું ડુંગળી વાવીને બેઠું હોય ત્યારે એની વાદે વાદે તમે ડુંગળી વાવો તો તમને શું મળવાનું છે??? સાંબેલું??
સમગ્ર દેશને આવરી લેતી એક કિસાન પંચાયત બને અને તેમાં દેશની વિવિધ ભાગોની સ્થિતિનો અભ્યાસ કરીને તેના અહેવાલો બને અને આ ડિજિટલ જમાનામાં તેનો પણ એક ડિજિટલ મેપ અને ડિજિટલ રિપોર્ટ ખેડૂતોને લાઈવ જોવા મળે તો ખેડૂત પોતે પોતાના ખેતરમાં શું વાવવું અને શું ન વાવવું તે કોમર્શિયલ બુદ્ધિથી અને વૈજ્ઞાનિક ભાવે નક્કી કરી શકે. આ તો ખાલી સુજાવ આપું છું. દેશમાં ખેડૂતો નું જ રાજ હોય એવો મારી પાસે આખો પ્લાન છે. પણ હું એ પ્લાન જાહેર નહીં કરું. કારણ કે જાહેર કરું તો પણ એકબીજાની ટાંટીયા ખેચમાં વ્યસ્ત ખેડૂતો તેનો અમલ કરવાના નથી તેની મને ખાતરી છે સારા શબ્દોમાં કહું તો વિશ્વાસ છે… કેવો તેલખોદ્યો વિશ્વાસ? આવો વિશ્વાસ કરવો મને ગમતો નથી પણ શું કરું? મજબૂરી છે. ખેડૂત જ્યાં આળોટતો હોય કે વલખા મારતો હોય ત્યાં વલખવા દેવો પડે. એને ઉભો કરવા જાવ તો એ તમને જ વછડકાં ભરે!
ખેડૂતની આ દશા માટે ખેડૂત પોતે જ જવાબદાર છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. તેમ છતાં એ વાત પણ ખોટી નથી કે ખેડૂતોની આ દશા માટે જાતજાતની કોંગ્રેસો અને ભાતભાતની ભાજપોની સરકારો પણ જવાબદાર છે. આઝાદી પછી તરત જ ખેડૂતને સ્વનિર્ભર રહેવા દેવાને બદલે કોંગ્રેસની નહેરુયુક્ત અને ઇન્દિરાયુક્ત સરકારોએ ખેડૂતો માટે જાતજાતની યોજનાઓ બનાવીને તેનો લાભ લેવા માટે ખેડૂતને લાઈનમાં ઉભો રાખીને પોતાનું સ્વમાન અને સ્વાભિમાન કોરાણે મુકતો કર્યો. દયાની જેમ દાન કરતી યોજનાઓ યોજનાઓ યોજનાઓ યોજનાઓ યોજનાઓ યોજનાઓ…. મત લેવા માટે પોતાની સામે લોકોને કે ખેડૂતોને લાઈનમાં ઊભા રાખવા માટેની સરકારની આ ટ્રીક હોય છે. ભાજપની મોદી યુક્ત સરકાર પાસે એવી આશા હતી કે તે ખેડૂતને લાચાર બનાવતી આવી યોજનાઓ બંધ કરીને ખેડૂતને આત્મનિર્ભર કે સ્વનિર્ભર બનાવશે. પણ એ આશા થોડી ધૂંધળી બનીને એક ભડૂરીયા કુવામાં ઠેકડો મારીને ડૂબી ગઈ… ખેડૂતોને મધલાડ ચટાડતી અને પોતાનું સ્વમાન નેવે મુકાવતી યોજનાઓ બંધ થવી જોઈએ તેને બદલે મોદીયુક્ત ભાજપ સરકારમાં આવી યોજનાઓ વધતી જ ગઈ વધતી જ ગઈ વધતી જ ગઈ. કોઈને કંઈ કહેવા જેવું જ નથી. આલિયાનો ભાઈ માલિયો હોય છે. ચોરનો ભાઈ ઘંટીચોર હોય છે.