Saturday June 21, 2025

JEWELTHIEF : ખંભાળિયાના વાડીનારમાં ઘરફોડી: આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવાયો

– એલસીબી પોલીસની કાર્યવાહી –

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫

       ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે રહેતા નરેશભાઈ લક્ષ્મણભાઈ વાઘેલા નામના 37 વર્ષના યુવાન તાજેતરમાં તેમના રહેણાંક મકાનમાં બહારથી તાળું મારીને નવરાત્રી જોવા માટે વાડીનાર નીચાણમાં ગયા હતા. ત્યારે રાત્રિના આશરે નવ એક વાગ્યાથી 11 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી અને અંદર પ્રવેશ કર્યો હતો. અહીંના એક રૂમમાં રહેલા પતરાના કબાટમાં રાખવામાં આવેલા સાત ગ્રામ સોનાના મંગલસૂત્રની ચોરી થઇ હોવાનું જાહેર થયું હતું. આમ, રૂપિયા 45,000 ના મુદ્દામાલની ચોરી થવા સબબ વાડીનાર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાઈ હતી.

          જેને અનુલક્ષીને એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા તેમજ બી.એમ. દેવમુરારીની ટીમ દ્વારા સધન તપાસ કાર્યવાહીમાં પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી. સ્ટાફના મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા અને લાખાભાઈ પિંડારિયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે વાડીનારના કેપીટી સર્કલ પાસે રહેતા હુસેન તાલબ દાઉદ ભાયા નામના 30 વર્ષના શખ્સને પોલીસે મોટરસાયકલ સાથે ઝડપી લઈ, અને આગવી ઢબે પૂછપરછ કરતા તેના દ્વારા ઉપરોક્ત ચોરીની કબુલાત કરવામાં આવી હતી. 

       આથી પોલીસે સોનાના મંગલસૂત્રના પેન્ડલ તેમજ જામનગરના સાત રસ્તા વિસ્તારમાં આવેલા પ્રદર્શન ગ્રાઉન્ડમાંથી ચોરી કરેલા રૂપિયા 15,000 ના સ્પ્લેન્ડર મોટરસાયકલ સહિત કુલ રૂ. 60 હજારના મુદ્દામાલ સાથે આરોપીની વિધિવત રીતે અટકાયત કરી અને વધુ તપાસ અર્થે તેનો કબજો વાડીનાર મરીન પોલીસને સોંપ્યો છે.

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top