
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫
કલ્યાણપુર પંથકમાં આજથી આશરે ત્રણ માસ પૂર્વે બનેલા લૂંટના ચકચારી બનાવમાં પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી કરી, આ પ્રકરણમાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા એક વૃદ્ધ મહિલા ગત તારીખ 12 નવેમ્બર 2024 ના રોજ તેમના ઘરે સુતા હતા. ત્યારે રાત્રિના આશરે દોઢેક વાગ્યાના સમયે ત્રણ અજાણ્યા શખ્સોએ અહીં આવી અને તેમના સોનાના વેઢલાની લૂંટ ચલાવી, નાસી છૂટ્યા હતા. આ પ્રકરણના અનુસંધાને પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ કલ્યાણપુરના પી.એસ.આઈ. કે.બી. રાજવી તેમજ તેમની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી અને હ્યુમન તેમજ ટેકનીકલ સોર્સિસની મદદથી હેડ કોન્સ્ટેબલ નારણભાઈ આંબલીયા, માલદેભાઈ દેથરીયા, મુનાભાઈ લગારીયા અને મિલનભાઈ કંડોરીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર તાલુકાના રાવલ ગામેથી આ પ્રકરણમાં સંડોવાયેલા ખીરસરા ગામના લખમણ અરભમ ખુંટી (ઉ.વ. 22) પોરબંદર તાલુકાના દેગામ ખાતે રહેતા જયમલ ઉર્ફે જયલો મુરુભાઈ સુંડાવદરા (ઉ.વ. 25) અને પોરબંદર તાલુકાના બગવદર ગામના સહદેવ જેઠાભાઈ બાપોદરા (ઉ.વ. 28) નામના ત્રણ શખ્સોને દબોચી લઈ અને આગવી ઢબે પૂછપરછ કરતા આ શખ્સોએ ખીરસરા ગામે રાત્રિના સમયે વેઢલાની કરેલી લૂંટના ગુનાની કબુલાત કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ લખમણ ખુંટીને પૈસાની જરૂરિયાત હોય, આરોપીઓએ સાથે મળીને લૂંટના આ બનાવને અંજામ આપ્યો હતો. જે સંદર્ભે કલ્યાણપુર પોલીસે આરોપીઓની વિધિવત રીતે ધરપકડ કરી, રિમાન્ડ સહિતની કાર્યવાહી કરી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)