– પરંપરાગત શોભાયાત્રા સહિતના આયોજનો –
જામ ખંભાળિયા, તા. ૩૧-૦૩-૨૦૨૫
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના પાવન પર્વ રામનવમીની આગામી રવિવાર તારીખ 6 એપ્રિલના રોજ ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે. આ પ્રસંગે પરંપરાગત શોભાયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું છે.
રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. આ શોભાયાત્રા રવિવારે સાંજે અત્રે નગર ગેઈટ પાસે આવેલા શ્રી રામ મંદિર ખાતેથી શરૂ થશે. જેની આરતી તેમજ પૂજન અર્ચનમાં આગેવાનો તેમજ રામ ભક્તો જોડાશે.
આ શોભાયાત્રા બરછા સ્ટ્રીટ, મોરલી મંદિર, લુહારશાળ, ઝવેરી બજાર, માંડવી ટીંબો, ગુગળી ચોક, વિજય ચોક, કલ્યાણરાયજી મંદિર, મેઈન બજાર, રાજડા રોડ, જોધપુર ગેઈટ, રોકડિયા હનુમાનજી મંદિર, પોસ્ટ ઓફિસ રોડ, નગર ગેઈટ થઈને પુનઃ શ્રી રામ મંદિર ખાતે મહાઆરતી બાદ સંપન્ન થશે.
આ શોભાયાત્રાનું ઠેર ઠેર ભાવભર્યું સ્વાગત કરાશે. આ શોભાયાત્રામાં સહભાગી થવા ધર્મપ્રેમી જનતાને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
(ફોટો:- કુંજન રાડિયા)