Saturday June 21, 2025

ખંભાળિયામાં શિવરાત્રી પર્વને અનુલક્ષીને ખામનાથ નજીકનો કેનેડી બ્રિજ ખુલ્લો કરવા શ્રદ્ધાળુઓની માંગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા

       ખંભાળિયા શહેરના પાદરમાં આવેલા ખામનાથ બ્રિજ નજીક રજવાડાના સમયનો કેનેડી બ્રિજ (ખામનાથ પુલ) જર્જરિત બની ગયો હોવાથી તંત્ર દ્વારા આ પુલ પર અવર-જવર માટે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે આગામી તારીખ 26 ના રોજ શિવરાત્રી પર્વ નિમિત્તે પુરાણ પ્રસિદ્ધ એવા ખામનાથ મહાદેવ મંદિર નજીકના આ કેનેડી બ્રિજને કામ ચલાઉ રીતે ભક્તો માટે ખુલ્લો રાખવામાં આવે તેવી માંગ પીઢ કાર્યકર દ્વારા કરવામાં આવી છે.

        ખંભાળિયા શહેર કે જેની પ્રાચીન ઓળખ સમાન ખામનાથ મહાદેવ મંદિરને પણ ગણવામાં આવે છે. ત્યારે દર વર્ષે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ખામનાથ મહાદેવની પરંપરાગત વરણાંગી (શોભાયાત્રા)નું આયોજન કરવામાં આવે છે. આ વરણાંગી રંગ મહોલ સ્કૂલથી ધામધૂમપૂર્વક ખામનાથ મહાદેવના મંદિરે પહોંચે છે. ત્યારે મોટી સંખ્યામાં ખુલ્લા પગે આ વરણાંગીમાં જોડાતા ભૂદેવો તેમજ શિવ ભક્તોને પૂલના અભાવે અહીં પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સંભાવના જોતા અહીંના વયોવૃધ્ધ ભક્ત અને પીઢ એવા મનુભાઈ તન્ના (ભાડથર વાળા) દ્વારા નગરપાલિકાના એક લેખિત પત્ર પાઠવી અને કેનેડી બ્રિજ તારીખ 26 ના રોજ એક દિવસ માટે ભક્તો માટે ખુલ્લો રાખવાની રજૂઆત કરી છે. 

         આ ઉપરાંત રસ્તામાં એલ.સી.બી. કચેરી નજીક ચાલી રહેલા ગેઈટના કામના લીધે અહીં વિશાળ બાંબુઓ વડે આડશ ઊભી કરવામાં આવી છે. ત્યારે શિવરાત્રી પર્વને ધ્યાનમાં લઈ અને આ વાંસના બાંબુઓ હટાવવા સહિતની હંગામી વ્યવસ્થા કરવા મનુભાઈ આર. તન્ના દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top