Friday June 20, 2025

દેશ-વિદેશમાં જય શ્રી રામ: મોરારીબાપુ દ્વારા ભૂકંપગ્રસ્ત મ્યાનમારને નવ કરોડની સહાય


હરેશ જોષી, મહુવા

    રામચરિતમાનસના ઉતરકાંડમાં સંતના સ્વભાવનું વર્ણન કરતા ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે સંતનો  સ્વભાવ માખણ જેવો હોય છે. સંત હૃદય નવનીત સમાના...સંત એ છે જે બીજાનું દુઃખ જોઈ અકારણ જ દ્રવી ઊઠે છે.આ વ્યાખ્યા પૂજ્ય મોરારીબાપુ જાણે ચરિતાર્થ કરતાં હોય તેમ પૂજ્ય બાપુએ મ્યાનમારને નવ કરોડની સહાયતા રાશી અર્પણ કરી છે. 
   બે દિવસ પહેલા ભારતના પડોશી દેશ મ્યાનમારમાં એક અત્યંત વિનાશકારી ભૂકંપ આવ્યો અને જેની તીવ્રતા 7.7 હતી. અને તેના  કંપનો ચીન અને ભારત સુધી અનુભવવા મળ્યા. પ્રાપ્ત માહિતી મુજબ 1000 થી વધુ લોકોનાં મોતને પુષ્ટિ મળી છે. અમેરિકાની સંસ્થાના અહેવાલ અનુસાર 10000 લોકોના મોતની ભીતિ સેવાઈ રહી છે એ ઉપરાંત મ્યાનમારને જાન માલની પણ બહુ જ મોટી ખુવારી વેઠવી પડી છે. પૂજ્ય બાપુની રામકથા આજથી આર્જેન્ટીના ખાતે શરૂ થઈ રહી છે ત્યાં જયારે એમને આ સમાચાર મળ્યા ત્યારે તેમણે મ્યાનમારના લોકો પ્રત્યે એમની તીવ્ર સંવેદનાઓ વ્યક્ત કરી છે.પૂજ્ય બાપુએ મ્યાનમારની કરન્સી અનુસાર રૂપિયા નવ કરોડની સહાયતા રાશિ પ્રેષિત કરી છે.  યૂકે સ્થિત રામકથાના શ્રોતા શ્રી. લોર્ડ ડોલરભાઈ પોપટ અને શ્રી. રમેશભાઈ સચદેવ દ્વારા આ વિતીય સેવા મ્યાનમાર રેડક્રોસને પહોંચતી કરવામાં આવશે. આ અત્યંત કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ અર્જેન્ટીનાની વ્યાસપીઠ પરથી પ્રાર્થના કરી છે તેમ મહુવાથી જયદેવ માંકડની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top