Saturday June 21, 2025

દ્વારકાના હાથી ગેઈટ ખાતે શ્રીકૃષ્ણ અને રુક્મણીજીની શોભાયાત્રાનું ભક્તજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

– ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજીનો સત્કાર સમારોહ –

– પરંપરાગત વિધિથી શ્રીકૃષ્ણ – રુક્મણીજીનું સામૈયું કરાયું – 

Kunjan Radiya, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૪-૨૦૨૫

        માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીજીના વિવાહ પૂર્ણ થયા બાદ આજે દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ – દેવી રુક્મણીજી સત્કાર સમારોહના ભાગરૂપે શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં દ્વારકાના હાથી ગેઈટ ખાતે શોભાયાત્રાનું આહિર સમાજ દ્વારા પરંપરાગત વિધિથી સામૈયું કરવામાં આવ્યું હતું. વિવિધ સમાજના આગેવાનો અને મહિલાઓ દ્વારા પણ ભગવાન શ્રીકૃષ્ણ – દેવી રુક્મણીજીને ઉત્સાહભેર કંકુ તિલક કરીને ઢોલ નગારા અને પુષ્પવર્ષા સાથે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

      આ શોભાયાત્રા દ્વારકા શહેરના વિવિધ માર્ગો પર નીકળી હતી. આ યાત્રાનું દ્વારકાધીશ મંદિર, ભદ્રકાલી ચોક, રબારી ગેટ અને રુકમણી મંદિર ખાતે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ, વેપારીઓ, નગરજનો દ્વારા પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા રુક્મણી મંદિર ખાતે સમાપન થઈ હતી. જ્યાં ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણ અને રુક્મણીજીને દ્વારકાની નગરીમાં નિવાસ માટે મીઠો આવકાર આપ્યો હતો. 

      આ વેળાએ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય પબુભા માણેક, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top