
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૩-૨૦૨૫
તીર્થભૂમિ દ્વારકાના મોરબી હાઉસ ગ્રાઉન્ડ ખાતે આગામી ગુરૂવાર તા. 27 થી તા. 6 એપ્રિલ દરમિયાન વીર શહીદોની સ્મૃતિમાં 11 દિવસીય 108 કુંડ મહા વિષ્ણુયાગ યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે. જેની તડામાર તૈયારીઓ હાલમાં જોરશોરથી ચાલી રહી છે.
આ અંગે પ્રખ્યાત સંત બાલક યોગેશ્વર દાસજી મહારાજ (બદ્રીનાથ ધામ) એ જણાવ્યું છે કે આ યજ્ઞ છેલ્લા 22 વર્ષથી અલગ-અલગ જગ્યાએ વીર શહીદોની સ્મૃતિમાં યોજાય છે. તા. 27 મી થી શરૂ થનારા આ વિષ્ણુયાગ મહાયજ્ઞ એ 44 મો મહાયજ્ઞ છે. દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક પણ આ મહાયજ્ઞમાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. આ યજ્ઞમાં દર્શનાર્થે આવતા ભકતોને પ્રતિદિન પ્રસાદીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
અહીં યજ્ઞના દર્શન તથા મહાપ્રસાદીનો વધુમાં વધુ ભકતોને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(ફોટો:- કુંજન રાડિયા)