Saturday June 21, 2025

દ્વારકામાં વિવિધ વિકાસકાર્યો માટે રૂા. 131.76 કરોડ ફાળવ્યા

રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ, નાગેશ્વર જયોતિર્લિંગને બેટ દ્વારકાને જોડતો નવો રીંગ રોડ મંજૂર –

પાલીકાની ચૂંટણી પૂર્ણ થતાં જ મુખ્યમંત્રીએ વિકાસનો ખોલ્યો પટારો – 

દ્વારકા હોટલ એસોસીએશને મુખ્યમંત્રીને પાઠવ્યા અભિનંદન

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૭-૦૨-૩૦૨૫

     દ્વારકા નગરપાલીકાની નવા સત્તા શાસન માટેની ચૂંટણી રવિવારે પૂર્ણ થયાની સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દ્વારકા પંથકના વિકાસ માટેની અતિ મહત્વપૂર્ણ યોજના માટેના રૂપિયા 131.76 કરોડ મંજૂર કર્યાની આજે જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ જાહેરાત થતાં દ્વારકાના વેપાર – વાણિજય સાથે સંકળાયેલા લોકો અને સ્થાનીક રહેવાસીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.

          આ સમાચાર મળતાની સાથે જ દ્વારકા હોટલ એસોસીએશનના પ્રમુખ ઈશ્વરભાઈ પરમાર અને સેક્રેટરી રવિ બારાઈએ દ્વારકાના વિકાસ માટેની આ મહાત્વાકાંક્ષી યોજના મુખ્યમંત્રીએ મંજૂર કરતા મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા છે.

             આ અંગેની જાણવા મળતી પ્રાથમિક વિગતો મુજબ દ્વારકાના પાદરમાં આવેલા નેશનલ હાઈવેની ખોડીયાર મંદિર ચેક પોસ્ટ પાસેથી રૂપિયા 131.76 કરોડના ખર્ચે બનનારો નવો રીંગ રોડ ફોર ટ્રેકનો પ્રારંભ થશે. જે નવો માર્ગ ખોડીયાર મંદિરની ચેક પોસ્ટની જમણી તરફ આવેલ આવળપરા વિસ્તારથી પસાર થઈને જલારામ મંદિર, ઘનશ્યામ નગર, વંદે માતરમ સોસાયટી અને અંબુજા નગરથી પસાર થઈને આ માર્ગ સિધ્ધો જ એ.સી.સી. સીમેન્ટ ફેકટરી પાસેથી પસાર થઈને રૂપેણ બંદર ક્રોસ કરી ઓખા સાથે જોડી દેવાશે. જેના કારણે દ્વારકાથી નાગેશ્વર જતા માર્ગ જે હાલમાં જ રૂપિયા 45 કરોડના સીકસલેન રોડ તરીકે બનાવવા માટે મંજૂર કરાયેલ છે, તેની સાથે જોડાઈ જશે. જેથી હવે નેશનલ હાઈવે માર્ગથી આવતાં જામનગર અને પોરબંદર તરફના જોડાયેલ રસ્તાઓથી પ્રવાસી યાત્રીકો પૈકી જે યાત્રીકો પહેલા દ્વારકાના બદલે નાગેશ્વર, બેટ દ્વારકા, રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ સીધા જ જઈ શકશે. અને રીટર્નમાં તેઓ દ્વારકા આવી શકશે.

        આમ, આ રીંગ રોડ દ્વારકાના નગરજનો માટે પણ ટ્રાફીકની સમસ્યામાં હળવાશ અનુભવવામાં સહયોગી બનશે અને યાત્રીક પ્રવાસીઓને પણ નવા અદ્યતન માર્ગની સુવિધા સાથે સમયનો બચાવ કરી દ્વારકા ક્ષેત્રની દર્શન સર્કિટમાં સરળતાથી પ્રવાસ કરી શકશે.

           સાથે જ આ માર્ગ પર આવેલી જમીનોની કિંમતમાં પણ ઉછાળો આવશે અને નવા દ્વારકા નગરમાં વિકાસની નવી ક્ષિતિજો પણ ખૂલશે. અત્રે એ પણ નોંધનીય છે કે દ્વારકાના વિકાસ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રચરલ ડેવલોપમેન્ટ સાથેની અનેક યોજનાઓ આવી રહી છે. સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત રાજ્ય તરફથી પણ દ્વારકાના વિકાસ માટે મોટા પ્રમાણમાં ગ્રાન્ટની ફાળવણી કરી છે. તે ગ્રામજનો માટે દ્વારકાધીશજીની કૃપા જ કહી શકાય. એમ કહીએ તો ચાલે કે કૃષ્ણની આ કર્મભૂમિમાં આર્થિક અને ભૌગોલિક રીતે દ્વારકા નગરી એક નવી જ દિશા તરફ પ્રયાણ કરી રહી છે.

              અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ નવો રીંગ રોડ બનાવવા માટે દ્વારકા હોટલ એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને દ્વારકા નગરપાલીકાની ટાઉન પ્લાનિંગ પૂર્વ ચેરમેન નિર્મલભાઈ સામાણીએ પણ રાજ્ય સરકારમાં તેમજ પ્રવાસન વિભાગ પાસે વારંવાર રજૂઆતો કરી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

     

         

             

     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top