Friday June 20, 2025

દ્વારકા જગત મંદિરમાં વસંત પંચમીની ઉત્સવ આરતી કરાઇ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૦૨-૦૨-૨૦૨૫

       દ્વારકાના સુપ્રસિદ્ધ જગતમંદિરમાં આજરોજ રવિવારે મહા સુદ પંચમીના રોજ વસંત પંચમી મહોત્સવની ઊજવણી કરાઈ હતી.       

                આજથી વસંત ઋતુની શરૂઆત થતી હોય, પ્રકૃતિના ઉત્સવ ગણાતા વસંત પંચમી પર્વે શ્રીજીને શ્વેત વાઘા પરિધાન કરાવાયા હતા. શ્રીજીને મસ્તકે શ્વેત કુલેર મુકુટ તથા મોરપંખની ચંદ્રિકા સહિતનો શૃંગાર કરાવી તેમજ આંબાનું રોપણ કરાયું હતું. નિજમંદિરમાં હરિયાળી સજાવટ સાથે ઠાકોરજીને ઠંડા ભોગ અર્પણ કરાયા. બપોરે ઠાકોરજીને અબીલ ગુલાલના શુકન કર્યા બાદ ઉત્સવ આરતી યોજાઈ. વસંત પંચમીના રોજ દ્વારકાધીશ જગત મંદિરમાં ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આજથી વસંતઋતુનો પ્રારંભ થતા દ્વારકાધીશ જગત મંદિરના દ્વાર બપોરે 1:30 થી 2:30 વાગ્યા દરમિયાન ખુલ્યા હતા.

      આ પ્રસંગે જગત મંદિરમાં બપોરે દોઢ વાગ્યે ઉત્સવ આરતી કરવામાં આવી હતી. પૂજારી પરિવાર દ્વારા ભગવાનને આરતી દરમિયાન અબીલ ગુલાલના છાંટણા કરવામાં આવ્યા. બપોરે મધ્યાહ્ને આ ઉત્સવ આરતી અને દર્શનનો ભાવિકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો. આજથી વસંત ઋતુનો પ્રારંભ થાય છે. ત્યારે ફાગણ સુદ પૂનમ સુધી ભગવાનને અબીલ ગુલાલ દ્વારા અમી છાંટણા કરવામાં આવશે.

(ફોટો: કુંજન રાડિયા)

       

                .

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top