જામ ખંભાળિયા, તા. ૦૫-૦૧-૨૦૨૫
વિશ્વ વિખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે તાજેતરમાં નાતાલના તહેવારોને અનુલક્ષીને ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તેમજ યાત્રાળુઓની ભીડ રહી હતી. અહીં આવેલા યાત્રાળુઓ માટે પોલીસ તંત્ર દ્વારા નોંધપાત્ર વ્યવસ્થાઓ કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ દ્વારકાના જગત મંદિર ખાતે તાજેતરમાં નાતાલના તહેવારોમાં તારીખ 25 થી 31 ડિસેમ્બર સુધી આવતા મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓ માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક પી.આઈ. કે.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ દ્વારકા તેમજ બેટ દ્વારકા વિસ્તારમાં પોલીસ સ્ટાફ દ્વારા સઘન વ્યવસ્થા તેમજ બંદોબસ્તની કામગીરી કરવામાં આવી હતી. એક અંદાજ મુજબ દ્વારકાધીશ મંદિર ખાતે દર્શન કરવા માટે આશરે 3.30 લાખ યાત્રાળુઓ આવ્યા હતા. અહીં પોલીસ સાથે ખાસ સી-ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીમાં પરિવારજનોથી વિખુટા પડેલા ત્રણ બાળકો તેમજ ચાર વૃદ્ધોને શોધી, તેમના પરિવારજનો સાથે મિલન કરાવાયું હતું. આ ઉપરાંત યાત્રાળુઓના મોબાઈલ તેમજ પર્સને શોધીને પણ તેના મૂળ માલિકને સોપાયા હતા.
આ ઉપરાંત અહીં આવેલા વિકલાંગ શ્રદ્ધાળુઓ તેમજ વયોવૃદ્ધ યાત્રાળુઓ માટે પણ પોલીસ દ્વારા ખાસ અલગ લાઈનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી બહારગામથી અત્રે આવેલા પ્રવાસીઓએ રાહતનો અનુભવ કર્યો હતો.
(ફોટો:- કુંજન રાડિયા)



