
– કુલ 22 સેક્ટરના જુદા જુદા અખાડાઓમાં યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ –
(પ્રયાગરાજ – અયોધ્યાથી કૌશલ સવજાણીનો અનુભવ)
જામ ખંભાળિયા, તા. ૧૩-૦૨-૨૦૨૫
દર બાર વર્ષે યોજાતા મહાકુંભનું સ્નાન ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. ત્યારે મહાકુંભનું આ સ્નાન અશ્વમેઘ યજ્ઞના પુણ્ય સમાન છે. આ સ્નાનમાં ડૂબકી લગાવીને કરોડો લોકો હાલ પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ત્યારે અહીં સ્થાનિક પ્રશાસનની નોંધપાત્ર અને આવકારદાયક વ્યવસ્થા તથા સેવાઓ સાથે કેટલાક મુદ્દે થકી હાલાકી વિસરીને પણ ભક્તો સ્નાન કરીને ધન્યતા અનુભવે છે.
– મહાકુંભને લગતી અફવાઓથી દૂર રહેવું –
પ્રયાગરાજમાં યોજાયેલો મહાકુંભ મેળો એ એક અતિભવ્ય ધાર્મિક આયોજન છે. જેમાં દરરોજ લાખો લોકો સહભાગી થાય છે. ત્યારે અહીં આવવા-જવા તેમજ રહેવાના મુદ્દે પ્રસરેલી અફવાઓથી લોકો દૂર રહી અને ધાર્મિક ભાવના સાથે કુંભના સ્નાનનો લાભ લઈ શકે છે. અહીં ટ્રાફિક તેમજ અવ્યવસ્થાના મુદ્દે ફેલાયેલી અફવાઓથી દૂર રહીને આ યાત્રામાં આવતા ધર્મપ્રેમી લોકોને રેલવે કે પ્લેન જેવી સુવિધા મળે મળી રહે તો આવા-ગમન માટે કોઈપણ પ્રકારની તકલીફ થતી નથી. આ ઉપરાંત સરકાર દ્વારા ઉપલબ્ધ બનાવવામાં આવેલી એસ.ટી.ની બસની સુવિધા પણ ખૂબ જ સુંદર છે.
– ખાનગી વાહનોને વ્યવસ્થાના હેતુથી દૂર પાર્ક કરાવાય છે –
પ્રયાગ કુંભમાં દરરોજ આવતા લાખો યાત્રાળુ પૈકી અનેક શ્રદ્ધાળુઓ ખાનગી વાહનો કાર કે બસ મારફતે આવે છે. ત્યારે કુંભ સ્નાનના સ્થળે કોઈ ટ્રાફિક સમસ્યાના સર્જાય તે હેતુથી તમામ વાહનો સ્નાન સ્થળથી થોડા કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે. અહીં ખાસ ટ્રાફિક તેમજ પાર્કિંગ પોઇન્ટમાં જ પ્રાયવેટ વ્હીકલ પાર્ક કરાવાય છે. જ્યાંથી નિયમિત રીતે મોટી સંખ્યામાં ઈ-રીક્ષા, નાના વાહનો તેમજ બાઈકની પણ સુવિધા લોકોને મળી રહે છે.

– સાધુ-સંતોના અખાડાઓ: અનન્ય આસ્થાનું કેન્દ્ર –
પ્રયાગરાજમાં મહાકુંભ સાથે 30-40 કેટલા કિલોમીટરના આ વિશાળ વિસ્તારમાં સરકાર દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં સેક્ટર 1 થી સેક્ટર 22 સુધી જુદા જુદા સ્થળોએ વિશાળ એવા અખાડાઓ માટે મોટાથી માંડીને નાના સાધુ-સંતોને જગ્યા ફાળવવામાં આવી છે. પ્રત્યેક અખાડામાં હંગામી ધોરણે પાંચથી સાત ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. દરેક ટેન્ટમાં પાંચથી દસ વ્યક્તિઓ સુઈ શકે તેવી વ્યવસ્થા હોય છે.
આ અખાડામાં રહેવા સાથે સુવ્યવસ્થિત રીતે બનાવવામાં આવેલા શૌચાલય તેમજ બાથરૂમની વ્યવસ્થા પણ સુંદર હોય છે. સાધુ-સંતોના આ અખાડામાં ચા-પાણી, નાસ્તો, ભોજન પ્રસાદ સહિતની વ્યવસ્થાઓ નિઃશુલ્ક પ્રાપ્ય છે. જુદા જુદા સંપ્રદાયના સંતો, મહંતોના આ અખાડાઓમાં વિવિધ સુવિધાઓ તેમજ કુંભના આ સ્થળે સાધુ, સંતોના ભજન કીર્તન અને સાંસ્કૃતિક કાર્યક્રમનો લાભ પણ મોટી સંખ્યામાં ભક્તો લ્યે છે.
ત્યારે સાધુ સંતોના આ અખાડાઓમાં રાત્રિના સમયે સંતવાણી સહિતના ધાર્મિક આયોજનોનો અલૌકિક લ્હાવો લઈને લોકો આ યાત્રાને યાદગાર બનાવે છે.
– નાગા સાધુના આશીર્વાદ લેતા દેશ-વિદેશના કરોડો લોકો –
પ્રયાગરાજમાં સંગમ તીર્થ ખાતે સ્નાન કરી, અહીં આવેલા સેક્ટર 1 થી 22 માં રહેલા વિવિધ અખાડાઓમાં નાગા સાધુના દર્શન કરવા માટે ભક્તો 1 થી 25 કિલોમીટર સુધીની પદયાત્રા કરતા હોય છે. ત્યારે નાગાબાવા, સાધુઓના આશિષ મેળવવા માટે દેશ-વિદેશથી કરોડો લોકો અહીં આવી કુંભ સ્નાન કરી અને આશીર્વાદ મેળવી, પુણ્યનું ભાથું બાંધે છે.
– સરકારી બસ, રેલવેની સુંદર વ્યવસ્થા –
પ્રયાગરાજના કુંભમેળાના આ ઐતિહાસિક આયોજન માટે યુ.પી. સરકારનું સુંદર આયોજન પ્રશંસા પાત્ર બન્યું છે. અહીં આવવા તેમજ જવા માટે રેલવે તેમજ સરકારી પરિવહનનો ઉપયોગ લોકો સરળતાથી કરી શકે છે. પ્રયાગરાજ જંકશન બાદ અયોધ્યા ધામ તેમજ અયોધ્યા જંકશનમાં રેલવે તંત્ર દ્વારા યાત્રિકો માટે વિવિધ પ્રકારના સુવિધા કેન્દ્ર પણ બનાવવામાં આવ્યા છે.
અહીં આવતી-જતી દરેક ટ્રેનના સમયે પ્રત્યેક કોચ નજીક રેલવે પોલીસ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સ્ટાફ ગોઠવી દેવામાં આવે છે. જેથી કોઈ અવ્યવસ્થા કે દોડાદોડી ન સર્જાય. પ્રયાગરાજ જંકશનથી યાત્રાળુઓ બહાર નીકળે ત્યારથી પ્રયાગના કુંભ સ્નાન અને અખાડા વિગેરે બાબતે જરૂરી માર્ગદર્શન તેમજ સુચના ઉપરાંત પોલીસ દ્વારા પણ જરૂરી સલાહ સૂચન મળી રહે છે. અહીંની પોલીસ ખરા અર્થમાં પ્રજાની મિત્ર સાબિત થાય છે.
– સરકારી બસની વ્યવસ્થા સુવિધા રૂપ –
પ્રયાગરાજમાં કુંભ સ્નાન તેમજ નજીકના વિસ્તાર અયોધ્યા, કાશી વિગેરે વિસ્તારોમાં યાત્રાળુઓ, શ્રદ્ધાળુઓની સુવિધા માટે અવર-જવર સરળ બની રહે તે હેતુથી સરકાર દ્વારા આશરે 7000 થી વધુ બસ ફાળવવામાં આવી છે. જેનો લાભ કોઈપણ લોકો વધુ ચાર્જ ચૂકવ્યા વગર લઈ શકે છે.
– ભક્તો માટે સંતોના અખાડા આશીર્વાદ સમાન –
પ્રયાગ સ્નાન માટે આવતા દેશ વિદેશના હજારો, લાખો, કરોડો યાત્રાળુઓની રહેવા તેમજ પુણ્ય મેળવવા માટે સાધુ-સંતોના અખાડા ખૂબ જ સુવિધા રૂપ તેમજ આશીર્વાદ રૂપ બની રહે છે. અહીં તમામ પ્રકારની જરૂરી સુવિધા – વ્યવસ્થા માટે યુપી સરકારનો સહયોગ પણ નોંધપાત્ર રહે છે.
– તમામ સ્થળે સ્વચ્છતાને પ્રાધાન્ય-
અખાડાના સ્થળે તેમજ પ્રયાગ સંગમ તેમજ અને કુંભ સ્નાનના તમામ સ્થળે ક્યાંય પણ ગંદકી જોવા ન મળે તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી છે. અહીં આવતા અને રહેતા ભક્તો દ્વારા નિકાલ કરાતા કચરાને એકત્ર કરવા સરકાર દ્વારા ખાસ ટીમ ફાળવવામાં આવી છે. અખાડાના સ્થળે શૌચાલય તેમજ અન્ય તમામ વિસ્તારોની સાફ-સફાઈ માટે હજારો કર્મચારીઓનો સ્ટાફ અવીરત રીતે સક્રિય હોય છે. ડ્રેસ કોડ સાથેના સફાઈ કામદારો નિષ્ઠાપૂર્વક કામ કરીને આ તમામ વિસ્તારને ચોખ્ખો ચણક રાખે છે.

– નાના વેપારીઓની નિષ્ઠા પ્રશંસાપાત્ર –
કુંભ પ્રયાગ વિસ્તારમાં આવતા યાત્રીકો પાસેથી ચા, ઠંડાપીણા, નાસ્તા જેવી ચીજોનું વેચાણ કરતા નાના વેપારીઓ દ્વારા ખાસ માનવતાનું વલણ અખત્યાર કરવામાં આવે છે. જે તદ્દન સામાન્ય ભાવે પોતાની ચીજ-વસ્તુ વેંચીને આ પુણ્યકાર્યમાં સહભાગી થાય છે.

– કુંભમેળામાં ગેરલાભ લેતા તકસાધુઓ હોટેલ, સંચાલકો અને વાહન ચાલકો –
બાર વર્ષે યોજાયેલા આ કુંભમેળામાં આવતા યાત્રીકો, શ્રધ્ધાળુઓ પાસેથી બેફામ ચાર્જ વસૂલતા હોટેલ સંચાલકો અને વાહનચાલકો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હોવાની પણ ફરિયાદો ઉઠવા પામી છે. આટલું જ નહીં, આવી અફવાઓ વચ્ચે લોકોમાં ફેલાવવામાં આવેલા ડરના માહોલ વચ્ચે ટ્રેન તેમજ સ્નાનના સ્થળે ભાગદોડ સર્જાય છે. ખાસ કરીને મોટા સ્નાનના દિવસોમાં આવી અફવાઓ જ ભય અને દોડધામનું વાતાવરણ પ્રસરાવે છે.
એકંદરે શ્રદ્ધાળુઓ, સનાતનીઓ 12 વર્ષે મળેલા આ પુણ્યના અવસરને અફવાથી દૂર રહી, તંત્રના સાથ સહયોગથી માણી શકે છે.


(ફોટો:- કુંજન રાડિયા)