
શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવા બાબતે POCSO તથા બીએનએસ અંતર્ગત નોંધાયેલ ગુનાની ફટાફટ તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરતી પોરબંદર જિલ્લા પોલીસ
પોરબંદર
પોરબંદર જિલ્લાના માધવપુર પંથકના મંડેર ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક વિપુલ ગોહેલ દ્વારા 13 વર્ષની બાળકી ઉપર થયેલ બળાત્કાર કાંડમાં પોરબંદર પોલીસે ભોગ બનનારને ન્યાય અપાવવા માટે તત્કાલ એક્શન લઈ આરોપીની ધરપકડ કરી માત્ર નવ દિવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કરી દીધી છે
પોલીસે જણાવ્યું કે પોરબંદર જિલ્લાનાં માધવપુર પોલીસ સ્ટેશન ખાતે આવેલ મંડેર ગામ સ્થિત સરકારી પે સેન્ટર શાળામાં ભણતી ૧૩ વર્ષની બાળકી ઉપર તે જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં વિપુલ બાબુભાઇ ગોહેલ દ્વારા દુષ્કર્મ આચરવા અંગેનો અતિગંભીર તથા ચકચારી બનાવ બનેલ જે બાબતની એફઆઇઆર માધવપુર પોલીસમાં નોંધાતાં આ બનાવ ખૂબ જ ગંભીર અને ચકચારી હોઇ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાના માર્ગદર્શન મુજબ પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા ગુનાની ઉંડાણપુર્વક અને તલસ્પર્શી તપાસ કરી, ખૂબ જ ઝડપથી તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ કરવા સુચના આપવામાં આવેલ જે બાબતે તપાસ કરનાર અધિકારી એસ.એસ.ગામેતી, પોલીસ ઇન્સ્પેક્ટર, નવીબંદર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ લગત મહત્વનાં ઇલેક્ટ્રોનીક, સાયન્ટિફિક, બાયોલોજીકલ તેમજ સાંયોગીક પુરાવાઓ એકત્રિત કરી, મહત્વના સાહેદો ચકાસી, અગત્યના દસ્તાવેજી પુરાવાઓ એકત્રીત કરી તેમજ અગત્યના સાક્ષીઓનાં નામદાર કોર્ટમાં નિવેદનો લેવડાવી માત્ર આઠ જ દિવસની તપાસ બાદ નાયબ પોલીસ અધિક્ષક, રાણાવાવ વિભાગ પાસે ડ્રાફ્ટ ચાર્જશીટ એપ્રુવ્ડ કરાવી તેમજ મુખ્ય સરકારી વકીલનું ચાર્જશીટ વેરીફીકેશન સર્ટીફીકેટ મેળવી નવમાં દિવસે ચાર્જશીટ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.ગામેતી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જી.ચુડાસમા, એ.એ.ડોડીયા, હેડ કોન્સ્ટેબલ અશોક ચુડાસમા, અશોક બાલસ તથા કોન્સ્ટેબલ કરણ સુત્રેજા, સંજય મારૂ વિગેરે રોકાયેલ હતા.
તત્કાલ ન્યાય માટે પોલીસે શું શું કર્યું?
- ઘટનાને સંબંધીત મહત્વના ઇલેક્ટ્રોનીક્સ પુરાવાઓ કબ્જે કરી DFSL, ગાંધીનગર ખાતે ફોરેન્સિક તપાસ કરાવવામાં આવેલ છે.
- બાયોલોજીકલ તથા મેડીકલ નમૂનાઓ કબ્જે લઇ RFSL,જુનાગઢ ખાતે ફોરેન્સિક તપાસ કરાવવામાં આવેલ છે.
- બનાવ લગત સાહેદોને તપાસવામાં આવેલ છે તેમજ મહત્વનાં સાહેદોનાં નામદાર કોર્ટમાં નિવેદનો નોંધાવવામાં આવેલ છે.
- અગત્યના દસ્તાવેજી પુરાવાઓ તેમજ મેડીકલ સર્ટીફિકેટ્સ મેળવી તપાસમાં સામેલ રાખવામાં આવેલ છે.
- ભોગબનનારને ઝડપથી ન્યાય મળે તે માટે સરકારી વકીલ તથા નામદાર કોર્ટ સાથે સંકલન કરી કેસની ન્યાયીક પ્રક્રિયા ઝડપથી ચાલે તે સુનિશ્ચિત કરવામાં આવશે.